અંજારના મંદિરોમાં થતી ચોરીઓ અટકાવવા વિશ્વ હિન્દુ પરિષદે પોલીસને આવેદન આપ્યું

અંજારમાં થોડા કેટલાક સમયથી ખાખીની ધાક ઓસરી હોય તેમ ખૂબ જ મોટા પ્રમાણમાં ચોરીઓના બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં ચોર તત્વો દ્વારા મંદિરોમાં પણ ચોરી કરવામાં આવી રહી હોવાથી વિશ્વ હિન્દુ પરિષદ-કચ્છ વિભાગ દ્વારા અંજાર પોલીસને આવેદન આપી તાત્કાલિક ચોરોને પકડવા માંગ કરવામાં આવી હતી.

આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ઠંડીના સમયનો લાભ લઇ અંજાર વિસ્તારના મંદિરોમાં રાત્રી દરમ્યાન મોટા પ્રમાણમાં ચોરીઓ થઈ રહી છે. જેથી હિન્દૂ સમાજની લાગણી દુભાઈ રહી છે. તા. 22/12ના પણ રાત્રે રાયમલ ધામ તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીના બનાવો બન્યા હતા. જેથી આવા અસામાજિક તત્વોને તાત્કાલિક પકડી ચોરીના બનાવો પર અંકુશ લાવવામાં માંગ કરવામાં આવી હતી.

કચ્છમાં તસ્કરો મંદિરો, દેરાસરોને નિશાન બનાવી રહ્યા છે, જેથી પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં અને આવા બનાવો પર રોક લગાવવામાં આવે તેવી પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માગ કરાઇ છે. જો તંત્ર દ્વારા કોઇ પગલા નહીં ભરાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.