બોટાદ જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટીય રોજગાર બાંયેધરી યોજના હેઠળ ગ્રામપંચાયતની રોજગારી નિર્માણ અંગેની પ્રેરણાદાય કામગીરી
રાણપુર તાલુકાના ગુંદા અને ચારણકી ગામને જોડતો પાંચ કિમી કાચો રસ્તના નિર્માણ સાથે શ્રમિકોએ રોજગારી નિર્માણનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગુંદા ગામમાં ગુંદા થી ચારણકી જવા માટે વાયા ગોધાવટા થઈને જવું પડતું હતું, જે અંદાજે ૮ કિ.મી. નું લાંબુ અંતર થઇ જાય. ચારણકી થી ગુંદા તરફ સાળંગપુર હનુમાનજી મંદિરના દર્શનાર્થીઓ પગપાળા ચાલીને જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. આ બંને ગામના અંદાજીત ૭૦ જેટલા ખેડૂતોની વાડીઓ આ માર્ગ ઉપર આવેલી છે, જે તમામ આ રસ્તાનો ઉપયોગ કરે છે. આ રસ્તા ઉપર ખુબ જ મોટા બાવળો ઉભા હતા તેમજ વરસાદી પાણીના લીધે ખેડૂતોના ખેતરના પાળાનું ધોવાણ થઇ રસ્તો ટૂંકો થઇ ગયો હતો. આ રસ્તાની મરામત માટે અવાર-નવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પરિણામ ન મળ્યું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બોટાદ દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટીય રોજગાર બાંયેધરી યોજનાની રાણપુર ખાતે સરપંચ અને તલાટી મીટીંગમાં નરેગા યોજનામાં એવા ૨૬૨ કામો ગામ લોકો જાતે કરી શકે અને આ કામો કરવાથી ગામના લોકોને રોજગારી પણ મળે તે મુદ્દાને ધ્યાને લઇ બન્ને ગુંદા અને ચારણકી ગામના સરપંચ દ્વારા રસ્તાનું કામ નરેગા યોજના દ્વારા ગ્રામજનોના સહયોગથી બનાવવાનું નક્કી કર્યું.
ચારણકી અને ગુંદા ગામે આ રસ્તાની કામગીરીના ઠરાવ કરી અમલવારીના શ્રીગણેશ કર્યા, ગામમાં બહેનોને કારકુનની જવાબદારી આપી. ગામમાં તમામ લોકો ને જાણ કરી નરેગાના કામે રોજગારીના વેતનનો લાભ લેવા જણાવવામાં આવ્યું. રસ્તા માટે ટાંચ વાળી માટી પોતાના ગામના તળાવ અને ચેકડેમને ગામના નરેગા શ્રમિકો દ્વ્રારા ઊંડું કરી માટીથી રસ્તો બનાવવા નું નક્કી કરી રસ્તા નું ૪.૫ કિ.મી. ના આયોજન માં બન્ને ગામો ગુંદા અને ચારણકીમાં તળાવ/ચેકડેમ મજુરો દ્વારા ખોદકામ કરી ઊંડું ઉતારવા તેમજ ખોદાયેલી માટી ટ્રેક્ટર દ્વારા બંને તરફથી રસ્તા પર મજુરો દ્વારા પહેલા બાવળ કટિંગ કરી, વધી ગયેલ પાળા ખોદી, રસ્તો પહોળો કરી, ટ્રેક્ટર દ્વારા માટી એક જગ્યા ખાલી કરાવી લેવલથી ફોળાવવામાં આવે છે. રસ્તો પહોળો તથા ખાડા ટેકરા બુરવામાં આવે છે. આ રીતે રસ્તા રીપેરીંગનું કામ પણ થાય છે. ગુંદાના અંદાજીત ૧૩૦ થી ૧૫૦ અને ચારણકીના ૮૦ થી ૧૦૦ માણસોને આ કપરા સમયમાં છેલ્લા ૧૫ દિવસથી રોજગારી મળી રહી છે. જેનાથી આઠ થી નવ હજાર દિવસની બંન્ને ગામોમાં લોકોને રોજગારી મળશે. આગામી સમયમાં બન્ને ગામો આવા અન્ય બીજા બે રસ્તા નિર્માણના કામોનું આયોજન કરી રાખેલ છે.
હાલના આ સમયમાં ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક શ્રમિકો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાંયેધરી યોજના મનરેગાના વિવિધ કામો જેવા કે સિંચાઈ અને જળસંચય કામો સાથેની અમલવારી કરવામાં આવે તો સુજલામ સુફલામ જળ અભિયાન અને ગામમાં નવી મિલકત નિર્માણ જેવા ગુંદા અને ચારણકી કાચા રસ્તા નિર્માણનું ઉદાહરણ રૂપ દરેક બોટાદ જીલ્લાના ગામોમાં અમલવારી કરવામાં ગ્રામ પંચાયત અગત્યની ભૂમિકા ભજવી શકે તેમ છે. મનરેગા હેઠળ શ્રમજીવીને કામના પ્રમાણમાં રોજના રૂપિયા ૨૨૯.૦૦ લેખે લઘુતમ વેતનની જોગવાઈનો લાભ અપાવી ગામમાં રસ્તા /તળાવ/ચેક ડેમ નિર્માણ અને ગૌચર પડતર જમીન સુધારણાના કામો નરેગામાં લઇ ગ્રામ પંચાયત મહત્વની ભૂમિકા ભજવશે તેમ નરેગાના નાયબ જીલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટરશ્રી ભરતસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવેલ છે.