જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવું નાગરિકો બિનજરૂરી બહાર ન નીકળે તો આપણે કોરોનાના સંક્રમણને આગળ વધતું અટકાવા સફળ બનશુ

સમગ્ર રાજયમાં પ્રવર્તમાન સમયમાં કોરોનાના કેસો વધી રહેલ છે. બોટાદ જિલ્લામાં કોરોનાના કેસોની પરિસ્થિતિના સંદર્ભમાં સચિવશ્રી સંજીવ કુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

                આ બેઠકમાં સચિવશ્રી સંજીવ કુમારે જિલ્લાની કોરોનાના વધતા સંક્રમણી પરિસ્થિતિ અંગેની જાણકારી મેળવી ઉપસ્થિત જિલ્લાના અધિકારીઓને જણાવ્યું હતું કે કોરોના સામે ગુજરાત સરકાર જુસ્સાભેર કામ કરી રહી છે. સમગ્ર દેશની સાથે સાથ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે ટેસ્ટિંગ અને ટ્રેકીંગની કામગીરીને વધુ અસરકારક બનાવેલ છે, બોટાદ જિલ્લામાં પણ આ કામગીરી અસરકારક રીતે થાય અને કોરોનાના કેસ શોધી દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે તે માટે સબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત ટ્રેસીંગ ઉપર પણ વિશેષ ભાર આપવાનું જણાવી કોરોના સંક્રમિત વ્યક્તિના છેલ્લા ૨૪-૪૮ કલાકમાં સંપર્કમાં આવેલ વ્યક્તિઓને શોધી તેમના પણ ટેસ્ટીંગ કરવા અને સારવાર આપવા પણ જણાવ્યું હતું. 

                સચિવશ્રીએ જિલ્લાના નાગરિકોએ ખુબ અગત્યનું હોય તો જ ઘરની બહાર નિકળે, બિનજરૂરી બહાર ન નિકળે તો આપણે આ વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવી શકીશુ તેમ જણાવી જિલ્લામાં બિન જરૂરી લોકોની અવર- જવર બંધ થાય તે માટે કડક પગલા લેવા પણ સબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. જિલ્લાના તમામ નાગરિકોએ ઘરની બહાર નિકળતી વખતે અવશ્ય માસ્કનો  ઉપયોગ કરવા અને માસ્ક વગરના લોકો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું આ ઉપરાંત ૪૫ વર્ષથી ઉપરની ઉમંરના લોકોને અવશ્ય વેકિસન લેવા અનુરોધ કર્યો હતો.

                આ બેઠકમાં કલેકટરશ્રી વિશાલ ગુપ્તાએ સચિવશ્રીને જિલ્લામાં અત્યાર સુધીના કોરોના કેસો અને સાજા થયેલા કુલ કેસો, પ્રવર્તમાન વધી રહેલા કોરોના કેસોની સામે દર્દીઓને અપાતી સારવાર અંગેની જાણકારી આપી હાલની કોરોના પરિસ્થિતિથી વાકેફ કર્યા હતાં. જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે વધારે પ્રમાણમાં ટેસ્ટીંગ થાય તેવું આયોજન કર્યું હોવાનું અને કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર મળી રહે તે માટે બરવાળા ખાતે શરૂ કરાયેલ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ દર્દીઓની પરિસ્થિતિથી પણ વાકેફ કરાયા હતાં. જિલ્લામાં મેડીકલ, પેરામેડીકલ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના અંગે અપાતી સારવારની જાણકારી આપી હતી. તેમણે જિલ્લામાં ચાલતી કોરોના વિરોધી રસીકરણ કામગીરી અંગે જાણકારી આપી જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૮ હજારથી વધારે લોકોને રસીકરણ કરવામાં આવેલ છે. 

                આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતાં.