સહસ્ર કળશ મહાઅભિષેક ઉત્સવનો આરતી, શણગાર, પૂજન-અર્ચન, ભવ્ય જળયાત્રાથી થયો મંગળ પ્રારંભ

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા તા.૨૭ ઓગસ્ટ ૨૦૨૧ને શુક્રવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા)ની પ્રેરણાથી ત્રિદિનાત્મક સહસ્ર કળશ અભિષેક ઉત્સવ અંતર્ગત પ્રથમ દિવસે પ્રાત:કાળે શણગાર આરતી સવારે 5.45 કલાકે પુજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ તથા દાદાના સિંહાસનને મોગરા તથા ગલગોટાના ફૂલોથી દિવ્ય શણગાર કરવામાં આવેલ ,યજ્ઞશાળામાં ૧૦૦૦ કળશોનું શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન એવં દ્રવ્ય પૂરણ કરી હનુમાનજી મહારાજના પંચમુખી સ્વરૂપનું સ્થાપન તેમજ પૂજન-અર્ચન કરવામાં આવેલ. બપોરે ૩:૦૦ કલાકે ભવ્ય જળયાત્રા નારાયણકુંડથી યજ્ઞશાળા સુધી પગપાળા ચાલીને વાજતે-ગાજતે ઢોલ-નગારા, શરણાઇના સૂર તેમજ ધજા-પતાકા, ગજરાજ, આદિવાસી નૃત્ય, ઘોડાઓ,સહિત સંતો-મહંત-ભક્તો સાથે યોજવામાં આવેલ. દાદાના દિવ્ય શણગારનો તથા સહસ્ર કળશ અભિષેક ઉત્સવના પ્રારંભનો લાભ ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી, તેમજ દેશ-વિદેશમાં વસતા લાખો હરિભક્તોએ હનુમાનજી દાદાના અલૌકિક શણગારનો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.