પેટલાદ શહેરમાં બંધ મકાનને નિશાન બનાવી તેમાંથી રૂપિયા 1.64 લાખની મત્તાના દાગીનાની તસ્કરી

પેટલાદ શહેરમાં પરિવાર માનતા માનવા માટે બહારગામ ગયો અને તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી તેમાંથી રૂપિયા 1.64 લાખની મત્તાના દાગીનાની તસ્કરી કરી હતી. રસપ્રદ બાબત તો એ છે કે, યુવકે એક મહિના પહેલાં જ વિસ્તારમાં ઘર લીધું હતું અને ઘર પેટે તેણે જે વ્યક્તિઓ પાસેથી ઉછીના પૈસા લીધા હતા તેમને પરત આપવા માટે વીસેક દિવસ પહેલાં બેંક લોકરમાંથી ગોલ્ડ લાવ્યો હતો. ગોલ્ડ જ તસ્કરો તસ્કરી કરી ગયા હતા. જેને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.પેટલાદ શહેરમાં યોગીવીલા સોસાયટીમાં નીતીનભાઈ અરજણભાઈ વાઘમસી (આહીર) રહે છે. તેઓ પાનના ગલ્લા પર નોકરી કરી જીવન ગુજરાન ચલાવે છે. તેઓ પરિવાર સાથે માનતા હોય પીપળી ગામે ગયા હતા. દરમિયાન તેમણે તેમના સાળાને બીજા દિવસે ઘરે સુવા માટે મોકલ્યો હતો. એ સમયે તેમનો સાળો ઘરે જતાં જ ઘરનો દરવાજો તૂટેલી હાલતમાં જોતાં ચોંકી ઉઠ્યો હતો. તેણે આ બાબતે નીતિનભાઈને જાણ કરી હતી.દરમિયાન, તેઓ તાબડતોડ ઘરે આવી પહોંચ્યા હતા અને તપાસ કરતાં તેમના ઘરમાંથી ત્રણ નંગ સોનાની ચેન, સોનાનું બ્રેસલેટ, બે નંગ ચાંદીના પાયલ મળી કુલ રૂપિયા 1.64 લાખની મત્તાના દાગીનો તસ્કરો તસ્કરી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, એક મહિના પહેલાં જ તેમણે વિસ્તારમાં ઘર લીધું હતું. ડાઉન પેમેન્ટ સહિતના અન્ય ખર્ચા માટે તેમણે જે વ્યક્તિઓ પાસેથી પૈસા ઉછીના લીધા હતા તેમને પરત ચૂકવવા માટે તેમણે બેંક લોકરમાંથી વીસ દિવસ પહેલાં ગોલ્ડ લઈ તેના પર લોન લેવાનું વિચારતા હતા. જોકે, તેઓ લોન મેળવે તે પહેલાં જ તસ્કરો ચોરી ગયા હતા. આ મામલે પેટલાદ શહેર પોલીસે તસ્કરીનો ગુનો નોંધી ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લઈ ચોરીનું પગેરૂં શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.