ગાંધીધામમાં અંબાજી મંદિર ત્રણ રસ્તા પાસે એક યુવાનના હાથમાંથી બે શખ્સોએ રૂ. 10,000 ના મોબાઈલની ચીલઝડપ કરી

copy image

ગાંધીધામ શહેરના ઓસ્લોથી લવ ગાર્ડન તરફ અંબાજી મંદિર ત્રણ રસ્તા પાસે એક યુવાનના હાથમાંથી બે ઇસમોએ રૂ.10,000ના મોબાઈલની ચીલઝડપ કરી નાસી છૂટ્યા હતા. આ શહેર અને સંકુલમાં પર્સ, ચેઈન, મોબાઈલની ચિલઝડપ કરનારા ઇસમોએ રીતસરનો આતંક મચાવ્યો છે. શહેરના સેકટર-3માં અંબાજી મંદિર પાસે રહેતા તથા વરસાણાની સુમિલોન કંપનીમાં અજમાયર ઈજનેર તરીકે કામ કરતા માનવેન્દ્રસિંઘ પદમસિંહ ઠાકુર નામના યુવાને આ બનાવ અંગે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. આ ફરિયાદી અને તેનો રૂમ પાર્ટનર કિરણ ગોસાવી  રાત્રિના અરસામાં ઓસ્લો બાજુ જમવા ગયા હતા. આ બંને જમીને પરત પોતાની રૂમ ઉપર જઈ રહ્યાં હતા. તેવામાં ફરિયાદી પોતાની માતા સાથે મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો. આ બંને અંબાજી મંદિર ત્રણ રસ્તા પાસે પહોંચ્યા હતા. ત્યારે પાછળથી એક બાઈક આવ્યું હતું. જેમાં બે ઇસમો સવાર હતા.  આ ઇસમોએ યુવાનના હાથમાંથી રૂ.10,000 ના મોબાઈલની ચિલઝડપ કરીને નાસી છૂટ્યા હતા. ફરિયાદી અને તેના મિત્રએ આ ઇસમોનો દોડીને પીછો કર્યો હતો. પરંતુ આ ઇસમો પળવારમાં અંધારામાં ઓઝલ થઈ ગયા હતા. પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.