લખપતના કુંડીધોધમાં ન્હાવા પડેલો યુવક ડૂબી જતા મોત

લખપત તાલુકાના જુણાચાય પાસે આવેલા કુંડીધોધમાં ન્હાવા ગયેલા 22 વર્ષના યુવકનું ડૂબી જતા મુત્યુ થતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્ર મધ્યે પહોચી આવ્યા હતા.

જાણવા મળતી માહિતી અનુસાર, દયાપરમાં રહેતા 22 વર્ષીય આતીફ સાલેમામદ નોતિયાર નામનો  યુવન પોતાના ઘરે આવેલા મહેમાનો સાથે બપોર પછી કુંડીધોધ ફરવા ગયા હતા તે દરમિયાન ધોધમાં નાહવા માટે ગયો હતો. અહીં એક ખાડાની માટીમાં તે ખૂંપી જતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને તરત બહાર કાઢી સારવાર અર્થે દયાપર સીએસસીમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો.

ઘટનાની જાણ થતા આગેવાનો હાસમભાઇ નોતિયાર,ઉરસભાઈ નોતિયાર, સતારભાઈ નોતીયાર,જાકાભાઈ નોતિયાર, મીઠાભાઈ, હેમેન્દ્ર જણસારી સહિતના અનેક લોકો દોડી આવ્યા હતા.ઘટનાની જાણ નરા પોલીસને કરવામાં આવતા પોલીસ પણ  પહોંચી આવી હતી.આ ઘટનાથી ગામમા અરેરાટી ઉઠી હતી. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,આ ઘટના સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હતી. મૃતક યુવાનના પિતા સાલેમામદ અલીમામદ નોતીયાર છૂટક મજૂરી કામ કરે છે.તેમના ત્રણ સંતાનો છે જેના પૈકી આસિફ નાનો પુત્ર હતો, દોઢ વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા.