જે કચેરીએ તિરંગા લોકોને વેચાતા આપ્યા તે અંજારની પોસ્ટ ઓફિસ રાષ્ટ્રધ્વજ વિના રહી

અંજારની પોસ્ટ ઓફિસ જેને દરેક લોકોને આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી તે કચેરીમાં જ રાષ્ટ્રધ્વજ ન લગાવવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા છે. સરકારના આદેશ બાદ લગભગ તમામ કચેરીઓમાં રંગોળી અને શણગાર કરવામાં આવ્યા છે. તેવામાં અંજાર પોસ્ટ ઓફિસ સુની નજરે પડી રહી છે.

અંજાર પોસ્ટ ઓફિસમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટાફમાં ખટરાગ ચાલે છે, પોસ્ટ માસ્તરનું કોઈ સાંભળતું નથી ઉપરાંત કામ ન કરવાની ભાવના હોવાના કારણે લોકોની ફરિયાદો ઉઠી છે, જેના કારણે જયારે જાઓ ત્યારે લાંબી કતારો પોસ્ટ ઓફિસમાં જોવા મળે છે.

તેવામાં જયારે સરકારે તમામ પોસ્ટ ઓફિસને રાષ્ટ્રધ્વજ વિતરણની જવાબદારી સોંપી છે ત્યારે પોસ્ટ ઓફિસ પર જ રાષ્ટ્રધવ્જ ન લગાવવામાં  આવતા અનેક પ્રશ્નો ઉઠ્યા છે. 75માં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તમામ લોકો પોતાના ઓફિસ, દુકાન પર તા. 13, 14 અને 15  ત્રણ દિવસ દરમ્યાન તિરંગો ફરકાવી શકશે તેવી છૂટ આપવામાં આવી છે. સરકારી કચેરીમાં તે ફરજિયાત છે છતાં સ્ટાફની ખટપટ જાહેર થાય તે રીતે કચેરી પર તિરંગો ફરકાવવામાં ન આવતા લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યું છે.