રાપર તાલુકાનાં રામવાવ ગામે ગૌચર જમીન ખાલી કરાવવા અરજદારે આત્મવિલોપનની આપી ચીમકી


રાપર તાલુકાના રામવાવ ગામમાં અંદાજિત 600 એકર ગૌચર જમીનમાં દબાણકારો દ્વારા વ્યાપકપણે અતિક્રમણ થયુ છે. જે દૂર કરવાની માંગણી સાથે સ્થાનિક ગ્રામજન દ્વારા તંત્રમાં અનેક રજૂઆતો કરવામાં આવી છે. ખુદ તાલુકા પંચાયત કચેરીએ પણ ગ્રામ પંચાયતને દબાણ હટાવની નોટિસ અપી ચુકી છે. તેમ છતા દબાણો દૂર ના થતા છેવટે અરજદારે હવે તંત્રને આખરી અલ્ટીમેટમ આપી જો દબાણ દૂર નહિ થાય તો આગામી તા. 15ના તાલૂકા પંચાયત કચેરી મધ્યે આત્મવિલોપન કરવાની લેખિત ચીમકી આપી છે. ભૂતકાળમાં રાપર મામલતદાર કચેરી મધ્યે જબ્બરદાન ગઢવી દ્વારા જમીન મુદ્દે આત્મવિલોપન કરી લેતા રાજ્યવ્યાપી પડઘા પડ્યા હતા.
આ અંગે રામવાવ ગામના અરજદાર શિવુભા દેશળજી જાડેજાએ કહ્યું હતું કે ભુજ ડી.આઈ.એલ.આર ગૌચર જમીનનું સર્વે કરાયા પછી માર્કિંગ પણ કરાઈ ચૂક્યું છે. સર્વે 966, 967 અને 968 ઠામો પર દુકાનો, મકાનો બની ગયા અને વાવેતર પણ થઈ રહ્યું છે. ખુદ તાલુકા પંચાયત કચેરીએ પણ ગૌચર જમીન ખાલી કરાવવા સ્થાનિક પંચાયતને નોટિસ પાઠવી છે . તેમ છતાં આ જમીન પરના દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવી નથી રહ્યા. અરજદારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, દબાણકર્તાઓએ સામ, દામની નીતિ અપનાવ્યા પછી હવે દંડની તૈયારી શરૂ કરી છે. પરંતુ મારો ધ્યેય માત્ર ગૌચર જમીન ખાલી કરાવવાનો છે. જો આગામી તા. 15 સુધીમાં દબાણો દૂર નહીં થાય તો હું તા. 15ના તાલુકા પંચાયત કચેરી મધ્યે આત્મવિલોપન કરીશ એવી લેખિત ચીમકી તંત્રને આપી હોવાનું કહ્યું.