ગાંધીધામમાં અગમ્ય કારણોસર યુવકે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

ગાંધીધામના કાર્ગો યાદવનગર ઝુપડામાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોક છવાઈ ગ્યો હતો. બી ડિવિઝન પોલીસમાંથી જાણવા મળતી માહિતી અનુસાર કાર્ગો યાદવનગર ઝુપડામાં રહેતા 18 વર્ષિય વિશાલકુમાર વસંતભાઈ શ્રીમાળીએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. તેના માતા ગીતાબેને જણાવ્યું હતું કે, તેઓ રાત્રે બહાર ગામ ગયા અને ઘરે પાછા આવ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. જેથી દરવાજો ખોલીને અંદર જતાં દિકરા વિશાલની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ જોઈ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

18 વર્ષના યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તે તો હજુ અકબંધ છે. બી ડિવિઝન પીઆઈ એમ.એન. દવેએ જણાવ્યું હતું કે, અહીં માતા અને પુત્ર એકલા રહે છે. માતાએ જણાવ્યું હતું કે, દિકરો છુટક મજૂરી કામ કરતો હતો અને તણાવમાં રહેતો હોવાથી કદાચ તેના કારણે આપઘાત કરી લેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. મૃતદેહનું જામનગરની હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.