10% વ્યાજ વસૂલતા વ્યાજખોરોના ત્રાસથી બીલીયાના આધેડ આપઘાત કર્યાનું આવ્યું સામે


સિદ્ધપુર તાલુકાના બીલીયા ગામમાં એક સપ્તાહ પહેલા 56 વર્ષના આધેડે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. પોલીસે મૃતકના ઘરેથી સ્યુસાઇડ નોટ પણ કબ્જે કરી હતી. મૃતકના પુત્રએ ઊંઝાના 3 ઇસમો સામે દુષ્પ્રેરણની ફરિયાદ દર્જ કરાવી છે.
બીલીયા ગામના જીવરામભાઈ રેવાભાઇ પટેલે વ્યાજખોરોના ત્રાસથી ઘરમાં ઝેરી દવા પીને જીવન ડોર સમેટી લીધી હતી. બનાવની જાણ થતા તપાસમાં પહોંચેલી પોલીસે મૃતક જીવરામભાઈના ઘરેથી 6 પાનાની સ્યુસાઇડ નોટ પણ કબ્જે લીધી હતી જેમાં જીવરામભાઈ પટેલે જે ઇસમો જોડેથી વ્યાજે રૂપિયા લીધા હતા તેઓએ 10% માસિક વ્યાજ વસૂલ્યું હોવાનું ઉપરાંત પઠાણી ઉઘરાણી કરતા હોવાથી તેઓ કંટાળી મૃત્યુને વ્હાલું કર્યું હોવાનું લખાણ કરેલ હતું.
પોલીસે આ વિશે ખરાઈ હાથ ધરી હતી પરંતુ બનાવના 5દિવસ બાદ તેમના પુત્ર અલ્પેશભાઈ જીવરામભાઇ પટેલે સિદ્ધપુર પોલીસ મથકમાં ઊંઝાના રહેવાસી પટેલ લતેશ, બારોટ પ્રદીપ, પટેલ પ્રજ્ઞેશ ઉર્ફે બગીશેઠ વિરુદ્ધ દુસ્પ્રેરણની ફરિયાદ આપતા સિદ્ધપુર પોલીસ દ્વારા ગુનો દર્જ કરી આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધર્વામાં આવી છે.
જીવરામભાઈ પટેલે ઝેરી દવા પીધા પહેલા તેઓને મરવા માટે મજબૂર કરનાર 10% વ્યાજ વસૂલતા ઊંઝાના ત્રણ ઇસમોને જવાબદાર ઠેરવ્યા અને તેઓએ 6 પાનાની સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેમના નાણાકીય વ્યવહારો કે કોની પાસેથી રૂપિયા લીધા છે અને કોની પાસેથી રૂપિયા લેવાના છે તે અંગે પણ તેઓએ સ્યુસાઇડ નોટમાં લખાણ કર્યું હતું.