માલ મંગાવનારા કુલ 5 ઉદ્યોગપતિઓ કચ્છ સાથે જ કનેકશન ધરાવતા હોવાની કડી ખુલી, 4 ઝોનની DRI તપાસમાં જોડાઈ


ચાઈનાથી મુન્દ્રા બંદરે આયાત થયેલા કન્ટેઇનરમાં રમકડાંની આડમાંથી રૂ 20 કરોડની ઇ-સિગારેટ મળી આવવાના કેસમાં હવે 4 ઝોનની DRI દ્વારા તપાસ શરૂ કરવામાં આવી.અત્યારસુધી આ કેસમાં જેના લાયસન્સ પરથી માલ મંગાવવામાં આવ્યો તે ભુજવાસી ઈસમ કે અન્ય કોઈ ઈમ્પોર્ટરની અટકાયત નથી થઈ.તપાસ પૂર્ણ થયા બાદ આ કેસમાં કડાકા ભડાકા થવાની વકી સૂત્રો દ્વારા વ્યક્ત કરાઈ. હાલમાં સૂરત ડીઆરઆઇની ટીમે બાતમીના આધારે પલસાણા હાઇવે પરથી 20 કરોડની ઈ સિગારેટ ઝડપી હતી.
ડીઆરઆઇએ પકડી પાડેલાં રૂપિયા 20 કરોડની ઇ-સિગારેટના કેસમાં મુંબઇ કનેક્શન સામે આવ્યા પછી ત્યાં પણ તપાસ કરીને સમગ્ર જથ્થો મંગાવનારા ઉદ્યોગપતિઓની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે પરંતુ હાલમાં તેઓ ફરાર છે. બીજી બાજુ ઇમ્પોર્ટેડ ઇ-સિગારેટ વેચનારાઓને પણ ડીઆરઆઇ સાણસામાં લે એવી સંભાવના જોવા મળી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે,આ કેસમાં કુલ 4 ઝોનની ડીઆરઆઈ દ્વારા તપાસ કરાઈ રહી છે.
જેમાં સૂરત પાસેથી જથ્થો પકડાયો અને આ માલ મુંબઈ જતો હોવાથી આ બંને ઝોન દ્વારા તો તપાસ કરવા આવે છે આ ઉપરાંત ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા ભુજમાં ઈમ્પોર્ટરના ઘરે તપાસ કરવામાં આવી.આ સિવાય બેંગ્લોરની કડી ખુલી હોવાથી બેંગ્લોર ડીઆરઆઈ પણ તપાસ કરે છે.જે ખૂબ મહત્વપૂર્ણ બાબત છે.આ દરમ્યાન એ પણ સામે આવ્યું કે,માલ એક વ્યક્તિ દ્વારા મંગાવવામાં આવ્યો નથી કુલ 5 ઉદ્યોગપતિ દ્વારા એકસંપ થઈ આ માલ ચાઈનાથી આયાત કરાયો છે જે તમામ કચ્છ સાથે સંડોવાયેલા છે જેમાંથી એકના ઘરે ભુજમાં મહેદી કોલોનીમાં રેડ પાડવામાં આવી હતી.
હજુ સુધી આ કેસમાં એકપણ ઇમ્પોર્ટરની અટકાયત કરવામાં નથી આવી. તેમજ મુન્દ્રા બંદરે આવેલા કુલ 18 કન્ટેઇનરમાં ઇ-સિગરેટ હોવાની બાતમીના આધારે આ કન્ટેઇનર રોકાવી તલાશ કરવામાં આવ્યું હતું .જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ અન્ય ગેજેટ્સ મળી આવ્યા.જેથી મિસ ડિકલેરેશન અને અંડર વેલ્યુએશનની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી પણ સૂત્રોમાથી જાણવા મળી.
ચાઈનાથી રમકડાંની આડમાં ઇ-સિગરેટ મંગાવવામાં આવી હતી .તેમાં જે લાયસન્સનો ઉપયોગ થયો તે વ્યક્તિ ભુજમાં રહેતો હોવાટી ડીઆરઆઈની એક ટીમ દ્વારા 5 કલાક સુધી મહેંદી કોલોની અને સુમરા ડેલી વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. પણ લાયન્સસધારક હાજર ન મળતા તેના પિતા સહિતના પરિવારજનોના નિવેદન લેવાયા અને તપાસઅર્થે મોબાઈલ અને લેપટોપ પણ લઈ જવામાં આવ્યું હતું. દરમ્યાન તેના સબંધીઓ મામલો પતાવવા માટે ગાંધીધામ ડીઆરઆઈની કચેરીએ પહોંચ્યા હતા અને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો સાથે જ અહીના એક સ્થાનીક રાજકારણીની મદદ લેવામાં આવી હતી. જોકે અધિકારીઓ તાબે ન થયા અને વધુ કન્ટેઇનર મુંદ્રા પોર્ટ પર અટકાવી દેવામાં આવ્યા હતા.
સુત્રોએ માહિતી આપતા જણાવ્યું કે ઇ-સિગારેટના ચર્ચાસ્પદ કેસમાં ડીઆરઆઇની એક ટીમ દ્વારા ભુજમાંથી એક વ્યક્તિને મોડી રાત્રે ઉઠાવાયો હતો અને પુછપરછ કરવામાં આવી રહી છે.