ગાંધીધામમાં એક વકીલે 10 લાખ રૂપિયા ઉધાર લઈ પાછા ન આપી ધમકી આપતા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ


ગાંધીધામના એક વકીલે 10 લાખ રૂપિયા ઉધાર લઈ, એક વર્ષમાં પાછાં આપવા બાંહેધરી આપવા છતાં છ-છ વર્ષથી નાણાં પાછા ન આપતો હોવાની ફરિયાદ પોલીસ મથકે દાખલ કરાઇ છે. હાલ મુંદરામાં રહેતી આધેડ મહિલાએ વકીલ વિરુદ્ધ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને ધાક-ધમકીની ફરિયાદ દાખલ કરાવી છે.
આ વિશે મળતી માહિતી અનુસાર શહેરની એક કચેરીમાં નોકરી કરતાં શખ્સની પ્રથમ પત્નીને સંતાન ન થતું હોવાથી તેમની પત્નીની સંમતિ સહિત તેમણે ફરિયાદી સાથે ઘરઘરણું કર્યું ફરિયાદી અને તેની પત્ની બેવ ગાંધીધામમાં એક જ છત નીચે સાથે રહેતી હતી. 2013માં પતિનું શારીરિક બીમારીથી મૃત્યુ થયું હતું. તેમની નિવૃત્ત બાદ મળેલી રકમમાંથી પત્નીએ 2016માં વકીલને એક વર્ષની મુદ્દતમાં પાછાં આપી દેવાની શરતથી 10 લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યાં. જેમાં તેમણે નોટરી પાસે સ્ટેમ્પ પેપર પર લખાણ પણ મેળવ્યું હતું.
વકીલે નાણાં પાછા આપ્યાં ન હતાં અને લખી આપેલો 10 લાખ રૂપિયાનો ચેક બાઉન્સ થયો હતો. આ દરમિયાન 2019માં પત્નીનું પણ મૃત્યુ થઈ ગયું હતું. પત્નીના નિધન પછી પોતે જ હવે વારસદાર હોવાનું જણાવી ફરિયાદીએ વકીલ પાસે નાણાંની ઉઘરાણી કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ આરોપી પોતે વકીલ હોવાનું જણાવી હાઈકોર્ટ સુધી જોઈ લેવા ધમકી આપી નાણાં પરત આપતો નથી. પહેલા તેમણે પોલીસ ફરિયાદની તજવીજ કરતાં આરોપીએ ટૂકડે ટૂકડે નાણાં પરત આપવા વાયદો આપ્યો હતો. પરંતુ આજ દિવસ સુધી વકીલે નાણાં પાછા નથી આપ્યાં. જેના કારણે વકીલ વિરુદ્ધ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને ધાક-ધમકીની ફરિયાદ દાખલ કરાઇ છે.