ગાંધીધામના ટાગોર રોડના સર્વિસ રોડ પર છકડો પલટી મારી જતાં, છકડામાં સવાર લોકો મહામુસીબતે બહાર નીકળ્યા

ગાંધીધામના ટાગોર રોડ પર ચાલતા ઓવરબ્રીજના કામના લીધે વાહનોને સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે ટાગોર પાર્કથી ઓસ્લો ગોલાઈ સુધીનો સર્વિસ રોડ છેલ્લા બે મહિનાથી એટલી ખરાબ હાલતમાં છે કે અહી રોડમાં ખાડાઓ નહીં, ખાડાઓમાં રોડ છે તે કહેવું જ ઉચીત રહે. લોકોની વધતી માગોને કારણે વચ્ચે ખાડાઓને પુરવા મલબાના નામે માટી નાખવામાં આવી. જેના કારણે ફરી પડેલા વરસાદથી સ્થિતિ સુધરવાના બદલે કીચડ થઈ અને માટી ધોવાઈ જવાથી પહેલા જેવી જ કે તેનાથી પણ બદતર હાલત થઈ છે.
જેના પરિણામ સ્વરૂપે ગુરુવારના અહી એક મુસાફરો ભરેલો છકડો પલટી મારી ગયો. જેમાં રહેલા લોકોને આસપાસના લોકો મદદે દોડી આવી બચાવી લીધા. આવા બનાવો અને અકસ્માત હવે જાણે રોજ બને છે.