શાહીબાગના આર્મી કેમ્પમાં ઓઇલની જરૂર છે તેવું કહી ત્રણે વેપારીના 3.28 લાખ પડાવ્યા

આર્મી ઓફિસર તરીકે ઓળખાણ આપી કેમ્પ હનુમાન ખાતેના આર્મી હેડ ક્વાર્ટરમાં ઓઇલના જથ્થાની જરૂર હોવાનું કહીને 3 ગઠિયાએ વેપારી પાસેથી રૂ.3.28 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ નારણપુરા પોલીસમાં નોંધાઈ છે. નારણપુરામાં શૈલ રેસિડન્સીમાં રહેતા કલ્પેશ વખારિયા સરખેજના સહજાનંદ એસ્ટેટમાં ગોડાઉન ધરાવી એસકે એજન્સી નામની કંપની ધરાવી ઇન્ડસ્ટ્રીયલ ઓઈલ સપ્લાય કરવાનો વેપાર કરે છે. 22  જુલાઈએ કલ્પેશભાઈને ફોન આવ્યો હતો, જેમાં સામેવાળી વ્યક્તિએ ઓઇલનો ભાવ પૂછીને ઓર્ડર માટે વાત કરી હતી અને પોતાની ઓળખાણ આર્મી ઓફિસર તરીકે આપી જામનગર હેડ ક્વાર્ટરમાંથી બોલતો હોવાનું કહ્યું હતું તેમ જ આ ઓઈલનો જથ્થો કેમ્પ હનુમાન મંદિર ખાતેના ક્વાર્ટરમાં જરૂરી હોવાની વાત કરી હતી ત્યાર બાદ તે વ્યક્તિએ પોતાનું આર્મી ઓફિસર તરીકનું આઈકાર્ડ, આર્મી કેમ્પનો GST નંબર,  રિક્વાયરમેન્ટ ઓફિસ મંજિતસિંગનો નંબર આપ્યો હતો. આ સાથે અમદાવાદ- ગુજરાત આર્મી ટ્રાન્સપોર્ટ પોર્ટલ ડિપાર્ટમેન્ટનાં કાગળો વોટ્સએપ પર મોકલ્યા હતા. ત્યાર બાદ ઓનલાઇન પેમેન્ટનું કહી રૂ.2નું NEFT કરવાનું કહ્યું હતું. તેથી કલ્પેશભાઈને ફોન ચાલુ રાખવાનું કહીને સામેવાળાએ કલ્પેશભાઈના ખાતામાં રૂ.4 જમા કરાવ્યા હતા.

ત્યાર બાદ સામેવાળાએ કલ્પેશભાઈને કહ્યું હતું કે, આર્મીવાળા આ રીતે પૈસા નહીં લે, એટલે તમે પહેલાં પૈસા જમા કરાવો, ત્યાર બાદ તમને પૈસા પાછા મળી જશે. આમ કહેતા જ કલ્પેશભાઈએ જુદા જુદા ટ્રાન્ઝેક્શનથી 3.28 લાખ ચૂકવી દીધા હતા. ત્યાર બાદ ટેમ્પોચાલક ઓઇલનો જથ્થો લઈ આર્મી કેમ્પ પહોંચ્યો ત્યારે ગેટ પર જ તેને જાણ થઈ હતી કે આર્મીવાળાએ કોઈ જથ્થો મંગાવ્યો જ ન હતો. તેથી આ અંગે ટેમ્પોચાલકે કલ્પેશભાઈને ફોન કરતા તેમણે મંજિતસિંહ, પંકજકુમાર અને દિલીપભાઈને ફોન કરતા ત્રણેયના ફોન સ્વિચઓફ આવતા હતા.