ખાડિયામાં 550થી વધુ મકાન ભયજનક સ્થિતિમાં, જર્જરિત મકાનો અંગે તાત્કાલિક નિર્ણય લેવા માંગ


ગત શનિવારે માણેકચોક ઝૂંપડીની પોળમાં જર્જરીત મકાન ધરાશાહી થતા એક વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યું હતું. ખાડિયા વિસ્તારમાં આવા 550 જર્જરિત મકાનો અંગે ત્વરીત નિર્ણય કરવા કોર્પોરેટર પંકજ ભટ્ટે મધ્ય ઝોનના મ્યુનિ. ડેપ્યુટી કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે.
કોર્પોરેટરે જણાવ્યું છે કે, 550 મકાનો બંધ હાલતમાં છે તેના જર્જરીત ભાગને દૂર કરવા મ્યુનિ. એ તાત્કાલિક પગલા લેવા જોઈએ. મ્યુનિ. દ્વારા પગલા લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં ફરી કોઈ જર્જરીત મકાન ધરાશાહી થાય તો તેમાં રહેવાવાળો પરિવાર અથવા રોડ પરથી પસાર થતા રાહદારીને ઈજા અથવા મોત નીપજવાનું જોખમ રહેલું છે.
કોર્પોરેટરે માણેકચોક અને ગાંધીરોડ પરના આડેધડ પાર્કિંગને કારણે આ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી પડતી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું છે કે, ટ્રાફિકના કારણે ઘણી વખત એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેટની ગાડીને આવાવામાં મુશ્કેલી પડી રહી છે. નોંધનીય છે કે, છેલ્લા 15 વર્ષમાં માણેકચોક અને ગાંધીરોડ પર રેસિડન્ટ મકાનો તોડીને કોમર્શિયલ બિલ્ડિંગો બનાવી દેવામાં આવ્યા છે. આ બિલ્ડિંગોમાં કોઈ જ પાર્કિંગની વ્યવસ્થા નથી તેમ છતા મ્યુનિ. દ્વારા કોઈ એક્શન લેવાતા નથી.