બટર ફ્લાય બગીચામાં કામ કરતા શ્રમજીવીનું વાહન ટક્કરથી મોત


ગાંધીનગરનાં અડાલજનાં બટર ફ્લાય બગીચામાં મજૂરી કામ કરતા શ્રમજીવીનું ગઈ કાલે વહેલી સવારે વાહનની ટક્કરથી મોત નિપજ્તા અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદનાં વતની શીનાભાઇ લક્ષ્મણભાઇ બારીયા અડાલજ SG હાઇવે સર્કલ ઉપર આવેલ બટર ફ્લાય બગીચામા છેલ્લા પંદરેક દિવસથી મજુરી કામ કરવા માટે આવ્યા છે. જેઓ તેમના સાળા સહિતના લોકો સાથે બગીચામાં જ રહીને મજૂરી કામ કરે છે. ગઇકાલે વહેલી સવારના બધા સુઇ રહ્યા હતા તે દરમ્યાન સામેનાં રોડ ઉપર અચાનક ધડામ જેવો અવાજ આવતા શીનાભાઇ ગાઢ નિંદ્રામાંથી જાગી ગયા હતા.ત્યારે સામેના રોડ ઉપર અકસ્માત થયો હોવાનું લાગતા તેઓ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં માલુમ પડયું હતું કે તેમના સાળા ચતુરભાઇ રત્નાભાઇ પટેલ(રહે. દેવગઢ બારીયા, દાહોદ) ને કોઇ ફોરવ્હીલ ગાડી વાળાએ ટકકર વાગતા તે નીચે પડી ગયેલ અને ફોરવ્હીલ ગાડીનો ચાલક પોતાની ગાડી ફુલ સ્પીડમા ચલાવી અને વૈષ્ણોદેવી સર્કલ તરફ ભાગી ગયો છે.
આ અકસ્માતના પગલે રાહદારી વાહનચાલકો એકઠા થઈ ગયા હતા. જેમાંથી કોઈએ જાણ કરતાં 108 એમ્બ્યુલન્સમાં ચતુરભાઈને બેભાન અવસ્થામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે અડાલજ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.