મુન્દ્રાની કોલેજમાં નવરાત્રિના આયોજન બાબતે NSUIના પ્રમુખ પર હુમલો


મુન્દ્રા ખાતે આર ડી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મધ્યે નવરાત્રિના આયોજન બાબતે NSUIના યુવા પ્રમુખ પર હુમલો કરાતાં તેને તાત્કાલિક ધોરણે સારવાર માટે સ્થાનિક સીએચસીમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે કોંગ્રેસી આગેવાનોએ સરકારી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તના ખબર અંતર પૂછવા ધસી જઈ જાહેરમાં મારકૂટની ઘટનાને વખોડ્યો હતો.
હોસ્પિટલના બિછાનેથી NSUIના ઘાયલ પ્રમુખ રૂષિરાજસિંહ જાડેજાએ પોતે નવરાત્રિ માટે કોલેજ પરિસરમાં રાસ ગરબાનું આયોજન કર્યું હતું. પરંતુ મને પૂછ્યા વગર કેમ ગરબી કરો છો કહી તે અંગેના મનદુઃખ સાથે એકજ કોમના ત્રણ લોકોએ તેમના પર હુમલો કર્યો હોવનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
મારકૂટ દરમ્યાન રૂષિરાજસિંહને માથા અને ખભાના ભાગમાં ઇજા થઇ હતી. બનાવને પગલે મુન્દ્રા પોલીસે સ્થળ પર ધસી જઈ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી. જયારે હોસ્પિટલમાં કોંગ્રેસી કાર્યકરો સાથે ધસી ગયેલા શહેર પ્રમુખ કપિલ કેસરીયાએ શિક્ષણના ધામ સમા કોલેજ કેમ્પસમાં થતી દાદાગીરી અને હુમલાના બનાવને સખત શબ્દોમાં વખોડી જવાબદારો સામે પગલાં લેવાની માંગણી કરી હતી.