અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ વિભાગોના તમામ કર્મચારીઓ 23મી સપ્ટેમ્બરે કાળી પટ્ટી બાંધી વિરોધ કરશે, ઉકેલ નહી આવે તો અચોક્ક્સ મુદત હડતાળની ચીમકી અપાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓના સવાલોનું ઉકેલ લાવવા અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા કમિશનરને આવેદનપત્ર અપાયું. જોકે 15 દિવસ બાદ પણ કમિશનર દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં નહીં આવતા મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા અચોક્ક્સ મુદતની હડતાલ અને ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે. આજે મ્યુનિસિપલ નોકર મંડળના સભ્યોની બેઠક મળશે જેમાં કમિશનર દ્વારા જે રીતે પ્રશ્નોને લઈ ધ્યાન નથી આપવામાં આવ્યું તેના પર ચર્ચા કરવામાં આવશે. 23મીએ કાળી પટ્ટી બાંધી વિરોધ કરાશે.

મ્યુનિસિપલ નોકર મંડળના જનરલ સેક્રેટરી કલ્પેશ મકવાણાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓના છેલ્લા 15 વર્ષથી ઘણા સવાલો છે. જેનો નિકાલ વહીવટી તંત્ર દ્વારા લાવવામાં નથી આવ્યો. સાત સપ્ટેમ્બરના રોજ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર અપાયું હતું પરંતુ તેઓ દ્વારા કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં નથી આવ્યો. જેથી આજે અમદાવાદના પ્રતિનિધિઓની બેઠક મળશે અને તેમાં 23મી સપ્ટેમ્બરના રોજ કાળી પટ્ટી બાંધી અને વિરોધ કરવામાં આવશે અને જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો સફાઈ, ફાયરબ્રિગેડ, AMTS, ગટર, પાણી, રોડ, રેફયુઝ, વર્કશોપ વગેરે વિભાગના કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે. આગામી દિવસોમાં હજારો કર્મચારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવો કરે અને મસ્ટર સ્ટેશન પર પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.