સુરતમાં સિટી બસ નીચે કચડાતા ધોરણ 12ના વિદ્યાર્થીનું મૃત્યુ, લોકોમાં ભારે રોષ દેખાયો


સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત રાત્રે ધોરણ 12નો વિદ્યાર્થી બસમાં ચડતી વખતે પગ લપસતાં પટકાયો હતો અને તેની ઉપરથી સિટી બસ હંકારી દેવામાં આવી હતી. એને લઈ યુવકને ગંભીર ઇજા થતાં મોત થયું હતું. બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ઊઠ્યો હતો, જેથી રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કર્યો. જ્યારે બસચાલક લોકોના ગુસ્સાને જોઈ બસ મૂકી પલાયન થઈ ગયો હતો. પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો.
સુરતના પાંડેસરા તેરેનામ ચોકડી નજીક ધોરણ 12માં ભણતો વિદ્યાર્થી અકસ્માતનો ભોગ બન્યો હતો. વિદ્યાર્થી વિશન મૌર્ય ટ્યૂશનથી પોતાના ઘરે જતો હતો ત્યારે પાંડેસરાના તેરેનામ ચોકડી નજીક મહાનગરપાલિકાની સિટી બસની રાહ જોઈ રહ્યો હતો. સિટી બસ આવતાં તે બસમાં ચડવા ગયો અને પગ લપસતા તે નીચે પડકાયો હતો. જો કે બસડ્રાઈવરે કંઈપણ જોયા વિના બસને હંકારી દીધી હતી.
નીચે પટકાયેલા વિનસના પગ પરથી બસ ફરી વળી અને તેને કચડી નાખ્યો હતો. બનાવને પગલે આસપાસથી તમામ લોકો એકઠા થઈ ગયા હતા. 108ને બોલાવી વિદ્યાર્થીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બીજી બાજુ ઘટનાને પગલે પાંડેસરા તેરેનામ ચોકડી મધ્યે લોકો ભારે ધમાલ મચાવી રહ્યા હતા, જેની જાણ થતાં પાંડેસરા પોલીસે ઘટનાઓ સ્થળે પહોંચી આવી સમગ્ર મામલાને થાળે પાડ્યો. વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થઈ જતાં પરિવારમાં પણ ભારે રોષ ઊઠ્યો હતો. સિટી બસ ડ્રાઇવર સામે પગલાં ભરવાની માગ કરાઈ હતી. ત્યારે પોલીસે સિટી બસના ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં પરિવારે વિશનનો મૃતદેહ સ્વીકાર્યો હતો.