ચીલોડા-રણાસણ રોડ પર અકસ્માત: દુબઈ જતાં પુત્રને એરપોર્ટ મૂકી ઘરે જતા દંપતીને કાળ ભરખી ગયો, પુત્રવધૂ અને ત્રણ પૌત્રીઓ ઘાયલ


દુબઈ જતાં પુત્રને અમદાવાદ એરપોર્ટ ઉતારીને ઈકો કારમાં ઘરે પાછા જતી વેળાએ મોટા ચીલોડા રણાસણ રોડ પર ઉભેલી ટ્રકની પાછળ ઈકો કાર ઘૂસી જતાં દંપતીનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા છે. જ્યારે આ અકસ્માતમાં પુત્રવધૂ અને ત્રણ પૌત્રીઓને પણ ઈજાઓ થતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ વિશે ડભોડા પોલીસ મથકમાં ઈકો કારના ડ્રાઇવર સામે ગુનો નોંધાવામાં આવ્યો છે.
રાજસ્થાનનાં ઉદેપુર મધ્યે રહેતાં તાહેરાબેન માદરીવાલાનાં પતિ હાતીમઅલીને દુબઈમાં કામધંધા ધંધા માટે જવાનું હોવાથી સાંજના સમયે ઈકો કારમાં અમદાવાદ એરપોર્ટ મૂકવા માટે ગયા હતા. તે વખતે તેમની સાથે સાસુ સકિનાબેન, સસરા ખુરશીદહુસૈન, ભાભી શાહિદાબાનું અને ત્રણ દીકરીઓ પણ હતા. રાતના અગીયારેક વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ પહોંચી વહેલી સવારે હાતીમઅલીને ફલાઈટમાં બેસાડી પરિવારજનો અહમદપુરા મધ્યે દરગાહમાં દર્શન કરવા ગયા હતા.
રાજસ્થાન પરત ફરતા સમયે સવારના અંદાજે છ વાગ્યાની આસપાસ રીંગરોડ રણાસણ સર્કલના બ્રિજના ઉતરતા છેડાથી મોટા ચિલોડા રોડ તરફ અચાનક રોડ ઉપર બાજુમાં ઉભેલ ટ્રક ની પાછળના ભાગમાં ઈકો કારના ડ્રાઇવરે પૂર ઝડપે ગાડી ઘુસાડી દીધી. આ અકસ્માત થતા ગાડીમા આગળની શીટમાં બેઠેલ ખુરશીદઅલી અને સકીનાબેનનું ગંભીર રીતે ઘાયલ થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા.
જ્યારે તાહેરાબેન અને તેમની ત્રણ દીકરીઓ તેમજ ભાભી શાહિદાબાનુંને પણ શરીરે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત થતાં મોટી સંખ્યામાં રાહદારીઓ એકત્ર થઈ ગયા અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ થતાં ડભોડા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને દંપતીની લાશના પીએમ સહિતની કાર્યવાહી ધરી ઈકો કારના ડ્રાઈવર અબ્બાસઅલી ગુલામઅબ્બાસ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.