પૂર્વ સૈનિકો, વનરક્ષકો તેમજ ST કર્મચારીઓનું આંદોલનની સમાપ્તિ


છેલ્લાં ઘણા દિવસથી સચિવાલયની સામે ધરણાં પર બેઠેલા પૂર્વ સૈનિકોના આંદોલનનો આજે અંત આવ્યો. ઉપરાંત 18 દિવસથી હડતાલ પર ઉતરેલા વનરક્ષક- વનપાલ અને એસટી કર્મચારીઓની હડતાલ પણ સમેટાઈ ગઈ હતી.
સરકાર સાથેની વાટાઘાટ પછી પૂર્વ સૈનિકોની માગણીઓના નિરાકરણ માટે સર્વગ્રાહી અભ્યાસ કરીને ફેસલો લેવા માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સમિતિ રચવામાં આવી.
બીજી બાજુ વનરક્ષકોની બે માંગણી માન્ય રાખીને તેમને રજાના દિવસે બજાવેલી ફરજનો રજા પગાર તેમ જ વોશિંગ એલાઉન્સ આપવાનો નિર્ણય કરાયો છે. ગ્રેડ પે સહિતની નીતિવિષયક માંગણી વિશે વિચારણા કરી યોગ્ય નિર્ણય કરવાની ખાતરી અપાઈ હતી.
પગાર વધારા સહિતની વિવિધ માગણીઓને લઇને આંદોલન ચલાવતા એસટી કર્મચારી યુનિયન અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી વચ્ચે યોજાયેલી મેરેથોન બેઠક પછી એસટી નિગમના કર્મચારીઓના ફિક્સ પગાર અને ભથ્થામાં 2 હજાર સુધીનો વધારો કરાયો છે. વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે ડ્રાઇવર અને કંડક્ટરના ગ્રેડ પેની અમલવારી કરીને તે પ્રમાણેનું ચૂકવવાનું બાકી એરિયર્સ 1 ઓક્ટોબર સુધીમાં ચૂકવાશે. નિગમના કર્મચારીઓને 11 ટકા મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં આપાશે.