ગાંધીનગરના પેથાપુરનાં મૂલચંદ પાર્કમાં વેપારીનું મકાન ભાડૂઆતે પચાવ્યું, કલેકટરનાં હુકમથી ગુનો દાખલ કરાવાયો


ગાંધીનગરના પેથાપુરમાં આવેલા મૂલચંદ પાર્ક સોસાયટીમાં એક મહિના માટે મકાન ખાલી કરવાની બાંહેધરી આપી ભાડૂઆતે મકાન ઉપર કબ્જો કરી લીધો. છેવટે મકાન માલિકે સીટ માં ફરિયાદ કરતાં કલેક્ટરના આદેશથી પેથાપુર પોલીસ મથકમાં ભાડૂઆત સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પેથાપુર મુલચંદ પાર્ક સોસાયટીમાં રહેતા આફતાબ હકિમભાઇ મનસુરી ઝાક જી.આઈ.ડી.સી. મધ્યે લોખંડનો વેપાર કરે છે આફતાબે દહેગામના સાહીદખાન અકબરખાન પઠાણ પાસેથી રૂ. 20 લાખમાં મૂલચંદ પાર્કમાં મકાન નંબર 44 ખરીદ્યું હતું. એ સમયે સાહીદખાને આ મકાન અક્બરખાન સલીમખાન પઠાણને ભાડે આપી રાખ્યું હતું. જે એક મહિનાની અંદર મકાન ખાલી કરી દેશે તેવી સાહીદખા દ્વારા બાંહેધરી પણ અપાઈ હતી.
ત્યારબાદ મકાન ખાલી કરવા માટે આફતાબે વારંવાર અક્બરખાનને કહ્યું હતું. પરંતુ તેણે મકાન ખાલી ન કરી કબ્જો જમાવી લીધો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો રહેતો. છેવટે આફતાબે હારી થાકીને મિલ્કત સંબંધ ધી ગુજરાત જમીન પચાવવા ઉપર પ્રતિબંધ અધિનિયમ-2020 હેઠળ કાર્યવાહી કરવા ગાંધીનગર કલેક્ટર કચેરી મધ્યે સીટમાં અરજી કરી હતી.
ત્યારે સીટની તપાસમાં દસ્તાવેજી પુરાવા સહિતની સઘન તપાસ કરવામાં આવતા આફતાબે ઉક્ત મકાન એક મહિનામાં ખાલી કરવાનું કહીને પચાવી પાડવામાં આવ્યું હોવાનું સાબિત થયું હતું. જેનાં પગલે કલેક્ટરનાં આદેશથી પેથાપુર પોલીસે ભાડૂઆત અક્બરખાન વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.