ગળપાદર જેલમાં ચુસ્ત સુરક્ષાના દાવા વચ્ચે મોબાઇલ અને સીમ કાર્ડ ઘૂસ્યા

પૂર્વ કચ્છ જિલ્લાની ગળપાદર જેલ મારામારીની ઘટના, લાંચ કાંડ જેવી બનાવોથી સમયાંતરે ચર્ચામાં રહેતી હોય છે તેની વચ્ચે અધીક પોલીસ મહા નિર્દેશક જેલ અને સુધારાત્મક વહિવટ કચેરી અમદાવાદની ઝડતી સ્ક્વોડે પાડેલા દરોડામાં કોઇ અજાણ્યા સખ્શોએ આ જેલની અંદર એક મોબાઇલ અને બે સીમકાર્ડ ઘૂસાડ્યા હોવાનું બહાર આવતાં જેલ પ્રશાસનમાં દોડધામ મચી. જેલરે અજાણ્યા સખ્શો વિરૂધ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ દાખલ કરાવી છે.

અધીક પોલીસ મહા નિર્દેશક જેલ અને સુધારાત્મક વહિવટ કચેરી અમદાવાદની ઝડતી સ્ક્વોડના જેલર દેવસીભાઇ રણમલભાઇ કરંગીયાએ દાખલ કરાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, અધીક મહા નિર્દેશકની સુચના મુજબ સુબેદાર અરજણસિંહ ઉદેસિંહ રાઠોડ, વિક્રમસિંહ રમણજી ઠાકોર, હવાલદાર કમલેશ ગરૈયા, સિપાઇ મુકેશ ચૌધરી, અતુલ ભેડા અને વજેસિંહ ઇશ્વરજી ઠાકોર સાથે ગળપાદર જેલ પહોંચ્યા અને ઇનચાર્જ અધિક્ષક એલ.વી.પરમાર તથા ફરજ પરના કર્મચારીઓ સાથે રાખી તપાસ કરી હતી.

તે દરમિયાન હાઇ સિક્યુરિટી યાર્ડમાં પ્રવેશતાં જમણી બાજુ આવેલી ખોલી નંબર 7 ના સંડાસ અંદરથી સેમસંગ કંપનીનો મોબાઇલ ઉપરાંત વી આઇ અને જીઓ કંપનીના બે સિમકાર્ડ મળી આવતાં ઇન્ચાર્જ જેલ અધિક્ષકની હાજરીમાં મળી આવેલા મોબાઇલ અને સીમકાર્ડ કોઇ આરોપીએ અનઅધીકૃત રીતે ઉપયોગ કર્યો છે કે કેમ તે તપાસ માટે એફએસએલ તપાસમાં મુક્ય. તેમણે જેલમાં મોબાઇલ અને બે સિમકાર્ડ ઘૂસાડનાર અજાણ્યા સખ્શો વિરૂધ્ધ એ-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. પીએસઆઇ એચ.એસ.જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.

અધીક પોલીસ મહા નિર્દેશક જેલ અને સુધારાત્મક વહિવટ કચેરી અમદાવાદની ઝડતી સ્ક્વોડ દ્વારા ગળપાદર જેલમાં કરવામાં આવેલી ચકાસણીમાં આ ફોન કયા આરોપીએ અન અધિકૃત રીતે ઉપયોગ કર્યો છે, આ મોબાઇલ અને બે સિમકાર્ડ જેલમાં કઇ રીતે ઘૂસાડવામાં આવ્યા ? તેમજ આ મોબાઇલ અને સિમકાર્ડ ઘૂસાડવામાં જેલના કર્મચારી કે અન્ય કોઇ સંકડાયેલુ છે ? તે તમામ તપાસમાં જે કોઇ આરોપીનું નામ ખુલ્લે તે તપાસ કરવા જણાવ્યું હતું.