પાલનપુરના મલાણા ગામે એક જ રાત્રીના 3 મકાનના તાળાં તૂટ્યાં

પાલનપુર તાલુકાના મલાણા ગામમાં રાત્રે ચોરે ત્રણ મકાનમાં હાથ ફેરો કરી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 76,000 ના મુદ્દામાલની તસ્કરી કરી હતી. આ બાબતે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી તેમને  પકડી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પાલનપુર તાલુકાના મલાણા ગામના રતિલાલ ઉકાજી બારોટના નાનાભાઈ અશોકભાઈ સુરત ગયા હોવાથી તેઓ પરિવાર સાથે તેમના ઘરે સુવા ગયા હતા.આ દરમિયાન રાત્રિના ચોરે રતીલાલના મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી તિજોરીમાં રહેલી રૂપિયા 25,000ની સોનાની બુટ્ટી, રૂપિયા 8,000ની નાકની ચુની, રૂપિયા 15,000ની ચાંદીની તોડીઓ ઉપરાંત રોકડ રૂપિયા 40,000 મળી કુલ રૂપિયા 52,000ના મુદ્દામાલની તસ્કરી કરી હતી.

તેમજ મહોલ્લામાં રહેતા અશોકભાઈ ભુતાભાઈ ચૌધરીના બંધ મકાનનું તાળું તોડી અંદરથી રોકડ રૂપિયા 20,000  ઉપરાંત દેવજીભાઈ પરથીભાઇ ચૌધરીના બંધ મકાનનું તાળું તોડી અંદરથી રૂપિયા 4000 મળી કુલ રૂપિયા 76,000ના મુદ્દામાલની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા. આ વિષે રતિલાલ બારોટે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો દાખલ કરી તેમને પકડી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મલાણા ગામમાં ત્રણ મકાનમાં હાથ ફેરો કરનાર ઇસમો ગામના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં નજરે પડ્યા હતા. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.