ડગાળા ગામની વાડીમાં રહેતી મહિલાએ અજાણતા ઝેરી દવા વાળું પાણી પી લેતાં સારવાર દરમિયાન મોત


ભુજ તાલુકાના ડગાળા ગામમાં રહેતા ડાહીબેન ગોપાલભાઈ હિરાભાઇ વરચંદ (ઉ.વ.42)એ સવારે દસ વાગ્યાના સમયગાળામાં વાડીમાં કામ કરતા હતા. તે દરમિયાન પાણીની તરસ લાગતાં એરંડાના પાકમાં છાંટવાની ઝેરી દવા ભેળવેલા પાણીના ઘોરીયામાંથી અજાણતાં પાણી પી લીધું હતું.
જેની ગંભીર અસર થતાં હતભાગી મહિલાને સારવાર અર્થે ભુજની એકોર્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન શુક્રવારે સવારે આઠ વાગ્યાના સમયના અરસામાં અંતિમ શ્વાસ લીધા હતા. પધ્ધર પોલીસે ઘટનાની નોંધ લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.