પડાણા અકસ્માતમાં બે વધુ વ્યક્તિના મોત

પડાણા નજીક અજમેરી હોટલ સામે માતાના મઢના યાત્રીકની રિક્ષાને ટ્રક ચાલકે ટક્કરે લેતાં રિક્ષામાં સવાર બે બાળકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા બાદ સારવાર દરમીયાન પરિવારના વડીલ અને યુવાને દમ તોડતાં મૃત્યુઆંક 4 થયો.

.મોરબીના માનસર રહેતા શાકભાજીના ધંધાર્થી સવજીભાઇ નટુભાઇ પંસારાએ બી-ડિવીઝન પોલીસ મથકે દાખલ કરાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પરિવારના સભ્યો તેમની અને સાઢુભાઇની રિક્ષામાં માતાના મઢ દર્શનાર્થે આવ્યા હતા. દર્શન કર્યા પછી તેઓ માંડવી ફરવા ગયા અને ત્યાંથી સાંજે મોરબી બાજુ જવા નિકળ્યા હતા.

તેમના સાઢુભાઇ પપ્પુભાઇ વસ્તાભાઇ પંસારાની રિક્ષા પડાણા નજીક અજમેરી હોટલ સામે પહોંચી ત્યારે પુરપાટ જતા અજાણ્યા વાહન ચાલકે તેમની રિક્ષાને ટક્કરે લેતાં 6 વર્ષીય જયદિપ રસિકભાઇ કુંઢીયા, 8 વર્ષીય આનંદ ઉર્ફે અનુપકુમાર પંસારાનું ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા.

જ્યારે 60 વર્ષીય કાનજીભાઇ ગાંગજીભાઇ પંચાસી અને ફરીયાદીના સાઢુભાઇ રસિકભાઇ કેશુભાઇ કુંડીયાનું સારવાર સમયે મોત થયા હતા. અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી પીએસઆઇ એસ.ડી.બારીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પાર્થિવ દેહને લઈ જવાના પૈસા ન હોવાથી પરિવારજનો રૂબરૂ મળીને રામબાગ હોસ્પિટલ એમ્બ્યુલન્સ એસોસીએશન દ્વારા ચાર પાર્થિવ દેહને બે એમ્બ્યુલન્સથી અલગ અલગ ત્રણ ગામમાં દરેકના ઘરે પહોંચાડાયા હતા. અન્ય દર્દીઓને પણ યથાયોગ્ય મદદ કરાઈ હતી. રામબાગ એમ્બ્યુલન્સ એસોશિયનના પ્રમુખ રાજભા ગઢવીએ જણાવ્યું હતું કે, ‘માનવ સેવા એજ પ્રભુ સેવા’એ વાક્યને સાચા અર્થમાં એમ્બ્યુલન્સ ગ્રુપ દ્વારા સાર્થક કરી બતાવાયુ છે.