આદિપુરના રોડ રસ્તાથી ત્રસ્ત થયેલા લોકોએ જાતે માર્ગ સમારકામ હાથ ધર્યું

copy image

આ વર્ષે ચોમાસામાં ગાંધીધામ – આદિપુરના મોટાભાગના માર્ગો બિસ્માર બન્યા છે અને સતત થઈ રહેલા અકસ્માતો બાદ પણ પાલિકાના પેટનું પાણી નથી હલતું. સતત ફરીયાદો પછી પણ માર્ગ સુધારણાની કોઈ કામગીરી ના થતા આદિપુરમાં લોકોએ પાલિકાની રાહ જોયા વગર જાતે માર્ગ સમારકામ હાથ ધરતા પાલિકાના જવાબદારો શરમમાં મૂકાયા.

આજે સવારે આદિપુરમાં સંતોષી માતાના મંદિર નજીક ચાયની કેબિન ચલાવતા દેવરાજભાઈ ગઢવી એ નજીકના ત્રણ રસ્તા પાસે મલબો ઠાલવીને માર્ગ સુધારણા કરી. દેવરાજભાઈ એ કહ્યું હતું કે, આ માર્ગ આદિપુરમાં સૌથી વધુ ધમધમતા માર્ગ પૈકીનો એક છે. અહી નજીકમાં જ સ્કૂલ, બેંક, હોસ્પિટલ અને મંદિર છે ત્યારે લાંબા સમયથી અહી પડેલા ખાડાથી લોકો કંટાડી ગયા હતા.

વારંવારની રજૂઆતો પછી પણ કંઈ નિકાલ ન આવતા છેવટે તેમણે તથા અન્ય એક દુકાનદાર અશોક માલીએ બહારથી મલબો લાવી અહી ઠાલવીને માર્ગ સમતળ કર્યો. શહેરભરના માર્ગો બિસ્માર થઈ ગયા છે અને પાલિકાની નીંભરતાને કારણે ત્રસ્ત થઈ ગયેલા લોકો જાતે માર્ગ સમારકામ કરી રહ્યા છે ત્યારે જવાબદારોને શરમ આવે અને કંઇક ઝડપથી કામગીરી કરવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.