ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત બાદ તેની અમલવારી ન કરાતાં કચ્છ સહિત રાજ્યની ગૌશાળા, પાંજરાપોળના સંચાલકોએ લડતના મંડાણ કર્યા

આજે શનિવારે જિલ્લા મથક ભુજમાં એરોપ્લેન સર્કલથી મામલતદાર કચેરી સુધી પશુઓ સાથે લઇને ચક્કાજામ કરવામાં આવશે. વધુમાં તાલુકામાં પણ ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે.

સરકાર દ્વારા જાહેર કરાયેલી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની આજદિન સુધી અમલવારી કરવામાં આવી નથી. જેની અમલવારીની માંગ સાથે કચ્છ સહિત ગુજરાતની ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકો તથા તમામ સાધુ-સંતો, ગૌસેવકો દ્વારા ગાંધીનગરમાં મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. ગુરૂવારના કચ્છની 30થી વધુ ગૌશાળા-પાંજરાપોળના સંચાલકો દ્વારા કચ્છના તાલુકા મથકોએ મામલતદારોને આવેદન આપવામાં આવ્યું હતું અને તા.23-9, શુક્રવારનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.

તેમ છતાં સરકાર કોઇ ફેસલો નહીં કરે તો શનિવારે પશુઓને છોડી મૂકી ગૌશાળા-પાંજરાપોળોની ચાવીઓ વહીવટી તંત્રને આપી દેવામાં આવશે. સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર તા.24-9, શનિવારના જિલ્લા મથક ભુજમાં મુન્દ્રા રોડ તરફના માર્ગે એરોપ્લેન સર્કલથી મામલતદાર કચેરી સુધી ગૌશાળા, પાંજરાપોળોના સંચાલકો દ્વારા પશુઓ સાથે ચક્કાજામ કરવામાં આવશે. અંજાર, રાપર, નલિયા સહિતના તાલુકા મથકોએ પણ ઉગ્ર કાર્યક્રમો અપાશે.