મેઘાઅલિયાસણાના ગુમ થયેલા યુવકની લાશ પીલુદરા પાસે કેનાલમાંથી મળી

પાંચ દિવસ પહેલા મહેસાણા તાલુકાના મેઘાઅલિયાસણા ગામમાંથી ગુમ થયેલા યુવકની પીલુદરા પાસે આવેલી સુજલામ સુફલામ કેનાલમાંથી લાશ મળી હતી. તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મહેસાણા તાલુકાના પીલુદરા ગામમાં રેલવે પાસે આવેલી સુજલામ સુફલામ કેનાલમાં યુવકની લાશ પડી હોવાના મેસેજને પગલે મહેસાણા ફાયરની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી લાશ બહાર કાઢવામાં આવી હતી.

મહેસાણા તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મેઘાલિયાસણા ગામનો ચૌધરી નટુભાઈ ડાહ્યાભાઈ હોવાનું અને ગત 19 સપ્ટેમ્બરે ઘેરથી ખેતરે જવાનું કહીને નીકળ્યા પછી ગુમ થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે મૃતકના નાના ભાઈએ મહેસાણા તાલુકા પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ પણ આપી હતી. તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.