રાજકોટમાં અનમોલ ફરસાણમાંથી 5 કિલો વાસી બરફી મળી


દશેરાનાં તહેવારમાં લોકો મીઠાઈનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. દશેરાનો તહેવાર છે ત્યારે મનપાનાં આરોગ્ય વિભાગે રાજકોટનાં મીઠાઈ અને ફરસાણના ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરી છે. જેમાં કોઠારીયા મેઇન રોડ વિસ્તારમાં આવેલ અનમોલ ફરસાણમાંથી 5 કિલો વાસી બરફી મળી આવી હતી. જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જયારે ફૂડ લાઇસન્સ વિના મીઠાઈ વેંચતા બાલાજી ફરસાણને નોટિસ ફટકારવામાં આવી હતી.
ત્રણ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું
મનપાનાં દરોડા દરમિયાન ફૂડ શાખાના અધિકારીઓ કેમિકલ દ્વારા ટેસ્ટ કરતા જાણવા મળ્યું કે મીઠાઈમાં સ્ટાર્ચનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે જેના કારણે મીઠાઈ વજનદાર બને છે. જોકે સ્ટાર્ચવાળી મીઠાઈ ખાવાથી પેટમાં દુખાવો અને એલર્જી થવાની શક્યતાઓ વધે છે. દશેરા પૂર્વે રાજકોટ મનપાની ત્રણ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. અનેક વિસ્તારોના મીઠાઈ અને ફરસાણના દુકાનોમાં દરડા પાડવામાં આવ્યા હતા.
લોકોને પણ જાગૃત રહેવાની અપીલ
મીડિયા સાથે વાત કરતા મનપા અધિકારી પંચાલ દ્વારા જણાવાયું હતું કે, દશેરાના તહેવાર નિમિત્તે રાજકોટમાં વાસી મીઠાઈઓ અને ફરસાણની ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે રાજકોટ મનપાનાં ફૂડ વિભાગની ટીમ સક્રિય થઇ કડક કામગીરી કરી રહી છે. જેના કારણે લોકોનાં આરોગ્ય સાથે ચેડાં થતા અટકાવી શકાય. આ સાથે લોકોને પણ જાગૃત રહેવાની અપીલ તેમણે કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે, આ દરડા દરમિયાન જ્યાં અખાદ્ય મીઠાઈ મળી આવશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે.