આંકલાવના ભેટાસીમાં ગરબા દરમિયાન પત્ની સામે જોવા બાબતે પતિ ગુસ્સે ભરાતા ત્રણ વ્યક્તિઓ પર તલવારથી કર્યો હુમલો


આંકલાવ તાલુકાના ભેટાસી ગામમાં ગરબા દરમિયાન પત્ની સામે જોવા મુદ્દે તેનો પતિ ઉશ્કેરાઈ જઈને તલવાર લાવી યુવક પર હુમલો કર્યો હતો. જેથી તેને ગંભીર ઇજા થઈ હતી. આ ઉપરાંત વચ્ચે પડેલા બે વ્યક્તિઓને પણ ઈજા થઈ છે. સમગ્ર બાબતે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ભેટાસી ગામમાં હરસિદ્ધિ માતાજીના મંદિરે નવરાત્રિ નિમિત્તે ગરબા ચાલી રહ્યાં તે દરમિયાન પુરૂષો પણ ગરબા ગાતા હતાં. ત્યારે રાત્રિના દોઢેક વાગ્યાની વેળામાં ગરબામાં પત્નીની સામે હસવા બાબતે પતિ ગુસ્સે થઇ ગયો હતો અને પત્ની સામે હસી રહેલા ઈસમ પાસે ગયો હતો અને તું મારી પત્ની સામે કેમ હશે છે ? તેમ કહી ઝઘડો કર્યો હતો અને અપશબ્દ બોલવા લાગ્યો હતો. આ ઝઘડામાં લાલસિંહ ઉદેસિંહ પરમાર મંદિરમાંથી તલવાર લાવી મારતા ભરતને માથામાં ઘા વાગ્યો હતો. આ ઝઘડામાં અર્જુન, વિપુલ વચ્ચે પડતાં લાલસિંહે તલવાર મારતા ભરતના ભાઇ શૈલેષ પરમારને ઘા વાગ્યો હતો. અર્જુનને પેટમાં લસરકો પડી ગયો હતો. આ ઝઘડામાં રાડારાડી થતાં ગરબાના માણસોએ વચ્ચે પડી છોડાવ્યાં હતાં. આ બાબતે આંકલાવ પોલીસે અજીતસિંહ ઉદેસિંહ પરમાર, ભાવેશ લાલસિંહ પરમાર અને લાલસિંહ ઉદેસિંહ પરમાર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.