સાયલાના ડોળીયા પાસે ધાંધલપુરના પૂર્વ સરપંચ પર ફાયરિંગ કરાતા દોડધામ મચી

copy image

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપુર ગામના પૂર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ રબારી ઉપર ડોળિયા ગામ નજીક ફાયરિંગ કરાતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના સંદર્ભે પોલીસ કાફલો તાકીદે ઘનાસ્થળે દોડી આવ્યો હતો. જો કે જૂના ઝઘડાની અદાવતમાં ફાયરિંગ થયુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સુરેન્દ્રનગર એસ.પી., એલસીબી અને સાયલા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર જૂની અદાવતમાં ફાયરિંગ થયાનું અનુમાન છે. સાયલા એપીએમસીમાંથી વન્ય પ્રાણી કાર્યક્રમ બતાવી પોતાના ઘર ધાંધલપુર તરફ જતા ડોળીયા નજીક આ બનાવ બન્યો હતો. હાલ ધાંધલપુર ગામમાં રણછોડભાઈના પત્ની સરપંચ તરીકે ફરજ બજાવે છે.

હાલમાં જૂના ઝઘડાનું કારણ સામે આવી રહ્યું છે. સમગ્ર ઘટનાને પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા ચેક સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ફરિયાદી રણછોડભાઈ રબારી દ્વારા સાયલા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવાની તજવીજ કરવામાં આવી રહી છે. ફાયરિંગમાં કારને સાઈડની થાંભલી પર નુકસાન થયુ છે. જેથી પોલીસ કારને એફએસએલમાં મોકલી આપવામાં આવશે.