અરવલ્લીમાં ડૂબી જવાના બે બનાવોમાં આધેડ અને કિશોરનું મોત નીપજયું


ચોમાસા પછી જળાશયો તળાવો ભરાઈ જતાં યુવકો ન્હાવા માટે જતા હોય છે અને પગ લપસી જતાં મોત નિપજતા હોય છે. ત્યારે આવા જ બે બનાવ ગઈકાલે અરવલ્લી જિલ્લામાં બન્યા છે. જ્યાં ડૂબી જવાની બે અલગ અલગ ઘટનામાં એક આધેડ અને એક કિશોરનું મૃત્યુ થયું હતું. બંનેના મૃતદેહને મોડાસા ફાયર વિભાગ દ્વ્રારા ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઇટાળી ગામના તળાવમાં 55 વર્ષીય મોહનભાઈ નામના આધેડનું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. જ્યારે મેઘરજ તાલુકાના નવાગામ (ક) ગામે ધોરણ-12માં અભ્યાસ કરતો મિથુન મનાત ગઈકાલે સાંજે ગામના રૂપલી તળાવમાં નહાવા માટે ગયો હતો. જ્યાં તેનો પગ લપસી જતાં અને તળાવ 40 ફૂટ ઊંડું હોવાથી તે ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. બંને ઘટનામાં વહીવટી તંત્ર દ્વારા મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાઈ હતી. મોડાસા ફાયર વિભાગે ઘટના સ્થળે જઈ રેસ્ક્યુ કરી બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા.