‘તને વળગાડ છે, ઉતારવો પડશે,’ એમ કહી સાસરિયાઓએ ત્રાસ આપ્યો

copy image

દોઢસો ફૂટ રિંગ રોડ, નાણાવટી ચોક પાસે આવેલી નંદનવન સોસાયટી-4માં રહેતી મૈત્રી નામની પરિણીતાએ રામાપીર ચોકડી પાસેના શાંતિનગરમાં રહેતા પતિ મિલન અતુલભાઇ વસાણી અને સાસુ પલ્લવીબેન સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદ મુજબ, તેના મિલન સાથે તા.10-12-2020ના રોજ લગ્ન થયા છે. લગ્નના એક મહિના પછી જ સાસુ પલ્લવીબેને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું તને કોઇ કામકાજ કરતા નથી આવડતું, તારા બાપે તને કરિયાવરમાં કંઇ આપ્યું નથી તેમ કહી મેણાં મારતા હતા, એટલું જ નહિ તું મારા દીકરાને લાયક નથી.

મારા દીકરાને તું જરાય ગમતી નથી, તને કોઇ વળગાડ છે, તારો વળગાડ ઉતારવો પડશે તેમ કહી મૈત્રીના ઓશીકા નીચે લીંબુ રાખી દેતા હતા અને હવે તો બધા વચ્ચે તને ગાંડી ઠેરવવી છે તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા. ઘરકામ અને રસોઇ બાબતે ચઢામણી કરી પતિ સાથે ઝઘડાઓ કરાવતા રહેતા હતા. પોતે જ્યારે માવતર જવાની વાત કરતી ત્યારે સાસુ પલ્લવીબેનને ગમતું નહિ અને કહેતા કે લગ્ન પછી દીકરીએ માવતરનો મોહ છોડી દેવો જોઇએ. અમે પણ અમારી દીકરીને માવતરે બોલાવતા નથી. અને અવારનવાર પતિને પિયર મૂકી આવ, તને છોકરી મળી જશે તેમ કહી ચઢામણી કરતા હતા.

અત્યાર સુધીમાં સાસુની ચઢામણીથી પોતાને સાત વખત પરાણે તેના પતિ પિયરમાં મૂકી ગયા છે. તે દરમિયાન દોઢેક વર્ષ પહેલા ગુરુપૂર્ણિમાના દિવસે સાસુના કહેવાથી પોતે વ્રત રહી હતી. ત્યારે પોતે માસીજીના ઘરે જતા તેમની દીકરીના આગ્રહથી ભૂલથી વ્રત હોવા છતાં કેક ખવાઇ ગઇ હતી.

આ વાત માસીજીએ સાસુને કહેતા સાસુએ તુરંત મારા માતા-પિતાને તમારી દીકરીને તેડી જવા જાણ કરી હતી. જેથી પોતે ભૂલથી કેક ખાઇ ગઇ હોવાનું અને તે અંગે માફી પણ માગી હતી. બીજા દિવસે મારા સાસુ અને પતિએ કરિયાવરનો સામાન ભરાવડાવી લઇ તાત્કાલિક નોટરી લખાણ કરાવી લીધું હતું. અનેક વખત માફી માગવા છતાં તેઓ સમાધાન કરવા તૈયાર નહિ થતા તેથી અંતે પોલીસ ફરિયાદ કરી છે.