જામખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં વૃદ્ધે આપઘાત કર્યો

ખંભાળિયાની સરકારી હોસ્પીટલમાં સારવાર હેઠળ રહેલા વિંઝલપરના વૃદ્ધે હોસ્પીટલમાં ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હોવાનો બનાવ બહાર આવ્યો છે. મૃતકે લાંબા સમયથી શ્વાસની બિમારીથી કંટાળી આ પગલુ ભરી લીધુ હોવાનુ જાહેર થયુ છે. જયારે પોલીસને એક કથિત સ્યુસાઇડ નોટ મળી આવી હતી.

ખંભાળીયા તાલુકાના વિંઝલપર ગામે રહેતા લખમણભાઈ કરમુર(ઉ.વ. 55)ને છેલ્લા છ વર્ષથી શ્વાસની બીમારી હોતી અને કોરોનાની બીજી લહેર પછી સતત હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર લેવી પડતી હોવાનુ ખુલ્યુ હતુ. જેનાથી કંટાળીને ખંભાળીયા સરકારી હોસ્પિટલમાં વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે દોરડા વડે ફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યું નિપજ્યુ હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા નિવેદન સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જયારે વધુમાં મળતી માહિતી મુજબ પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે.

જેમાં કથિત રીતે તેના પુત્રો દ્વારા ધ્યાન નહી દેતા હોવાનું અને દીકરાઓ અત્યાચાર કરતા હોવાનો ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યુ છે. આ સમગ્ર બનાવ મામલે ખંભાળીયા PI જુડાલના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બીજી બાજુ ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં જ દાખલ સારવાર હેઠળ રહેલા દર્દીના આ આત્મઘાતી પગલાને કારણે ક્ષણિક દોડધામ મચી હતી.