અંજાર તાલુકાનાં રત્નાલ નજીક મીઠું ભરેલું ટ્રેલર પલટી મારી જતા મકાનમાં નુકસાન પહોચ્યું તેમજ ટ્રાફિક સબંધિત સમસ્યા સર્જાઈ

રત્નાલ ગામના રેલવે ફાટક પાસે એક મીઠું ભરેલું ટ્રેલર પલટી ગયું હતું. ટ્રેલર પલટી જતા બાજુમાં રહેલી મકાનની દીવાલ ક્ષતિગ્રસ્ત થઈ હતી. સદભાગ્યે આ બનાવમાં કોઇ જાનહાની થઈ ન હતી. ક્રેન દ્વારા ટ્રેલરને દૂર ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને વાહનચાલકો નજીકના કાચા માર્ગે અંજાર તરફ આગળ વધી રહ્યા છે. જોકે સિંગલ પટ્ટી માર્ગ પર ટ્રાફિક વધી જતાં વાહનો અટવાયા અને સામસામે વાહનો આવી જવાથી ખાનગી વાહનોની કતાર લાગી ગઈ હતી.
આ અંગે મળતી માહિતી મુજબ બપોરે 3 વાગ્યાના અરસામાં અંજાર તરફ જતું એક ટ્રેલર રત્નાલ ગામના ફાટક નજીક] અચાનક માર્ગ પરથી પલટી મારી ગયું હતું. જેના લીધે પાસેના મકાનની દીવાલ ક્ષતિગ્રસ્ત થતાં તેમાં નુકશાન થયું હતું. અકસ્માતના પગલે થોડી પળો માટે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. પલટી ગયેલા ટ્રેલરને ક્રેનની મદદ વડે દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેથી અહીંથી પસાર થતા અમુક ખાનગી વાહનો અન્ય કાચા માર્ગે અંજાર તરફ આગળ વધ્યા હતા.