ગાંધીધામમા જ્વેલર્સની બંધ દુકાનમાંથી 1.92 લાખના દાગીનાની ચોરી કરનાર 3 આરોપીઓ ઝડપાયા

ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલ નજીક આવેલી જ્વેલર્સની બંધ દુકાનમાંથી ચોર તાળા તોડી શોકેશ અને કાઉન્ટરમાંથી રૂ.1.92 લાખની કિંમતના દાગીનાની તસ્કરી કરી ગયા હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકમાં દાઝલ થયા બાદ પોલીસે આ ચોરી કરનાર 3 આરોપીઓને ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગણતરીના કલાકોમાં ભેદ શોધી લીધો હતો.
પીઆઇ એ.બી.પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, અંજારના મહાદેવનગરમાં રહેતા જુગલભાઇ તનસુખભાઇ ગોદાવરિયાએ ફરિયાદ દાખલ કરાવી હતી કે, તેઓ રોજ પ્રમાણે રાત્રે 9 વાગ્યાના સમયગાળામાં દુકાનને તાળા મારી વધાવી ઘરે ગયા હતા. સવારે 9 વાગ્યે તેઓ દુકાને આવ્યા ત્યારે શટરના તાળા તૂટેલા હતા અને શટર ઉંચું પડ્યું હતું.
તેથી બંને ભાઇઓએ અંદર જઇને તપાસ કરી તો તાળા તોડી અંદર પ્રવેશેલા ચોર શોકેશ અને કાઉન્ટરમાં રાખેલા રૂ.42,000 ની કિંમતની ચાંદીની 480 વીંટીઓ, રૂ.15,000 ની કિંમતની 33 જોડ સોનાની બુટ્ટી, રૂ.15,000 ની કિંમતના 20 નંગ ચાંદીના પાયલ, રૂ.15,000 ની કિંમતના 150 નંગ ચાંદીના વીંછીયા તેમજ ચાંદીના સિંહાસન, શ્રીફળ, પંજો, રૂદ્રાક્ષ, મિક્સ પેન્ડલ, ગેરંટી વાળા મંગળ સૂત્ર વગેરે સહિતના કુલ રૂ.1,92,000 ની કિંમતના દાગીનાની તસ્કરીને અંજામ આપી ગયા હોવાનો ખ્યાલ આવતાં તેમણે ચોરીમાં ગયેલા દાગીનાના બીલો શોધ્યા પછી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
પોલીસે સતર્કતા દાખવી ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં બાતમીના આધારે આ તસ્કરીને અંજામ આપનાર સુંદરપુરી રહેતા સંદિપ ઉર્ફે ચાંદ લમણભાઈ બાણોલીયા, નરેશ ઉર્ફે કારો વાલજીભાઈ મકવાણા તથા હિરેન યોગેશભાઈ મકવાણાને રૂ.1,91,704 ની કિંમતના ચાંદીના અલગ-અલગ દાગીના, રૂ.4 લાખની કિંમતની સ્કોર્પીયો ગાડી, 50 હજારની સુઝુકી એક્સેસ, 45 હજારની કિંમતના 4 મોબાઇલ સહિત કુલ્લ રૂ.6,86,704 નો મુદ્દામાલ કબ્જે કરી ગણતરીના કલાકોમાં આ ચોરીનો ભેદ શોધી કાઢ્યો હતો.
આ ચોરીને અંજામ આપનાર આરોપીઓને ઝડપી લેવા માટે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે નાકા બંધી કરી બે આરોપી સંદિપ ઉર્ફે ચાંદ લમણભાઈ બાણોલીયા તથા નરેશ ઉર્ફે કારો વાલજીભાઈ મકવાણાને તો સ્થાનિકેથી ઝડપી લીધા હતા. પરંતુ હિરેન યોગેશભાઈ મકવાણા મુંન્દ્રા તરફ ભાગી જવામાં સફળ રહ્યો હતો જેને મુન્દ્રા પોલીસે ઝડપી પાડ્યો હતો.