રામબાગ હોસ્પિટલના ડોક્ટરના ઘરમાથી1.45 હજારની મત્તા ચોરી કરાઈ

ગાંધીધામ રામબાગ હોસ્પિટલના ક્વાર્ટરમાં રહેતા ડોક્ટરના ઘરમાંથી રૂ.1.45 લાખની માલમત્તા ચોરી થઇ હોવાની ઘટના આદિપુર પોલીસ મથકમાં દાખલ કરાવાઈ છે.

રામબાગ હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવતા અને હોસ્પિટલના ક્વાર્ટરમાં જ રહેતા ડો.અરવિંદ શ્રીસુરેન્દ્રકુમાર સિન્હા ઘરને તાળું મારી પરિવાર સાથે પોતાના વતન બિહાર ગયા હતા તેમના ઘરે કામ કરવા આવતા ગૌરીબેને તેમના પત્ની ડિમ્પલબેનને ફોન કરી જણાવ્યું હતું કે તમારા ઘરનો દરવાજો તૂટેલ છે.

ત્યારપછી ડો.સિન્હાએ હોસ્પિટલના ડો.જય ગણાત્રાને જાણ કરવામાં આવતા તેમણે તપાસી ઘરમાંથી તસ્કરી થઇ હોવાનું જણાવતાં તેમણે ડો.જયને હાલ લોક લગાડી દેવા જણાવ્યું હતું. ત્યારપછી ગઇકાલે પરિવાર ઘરે પહોંચ્યા પછી તપાસ કરતાં ચોરે રૂ.90,000 ની કિંમતના સોના-ચાંદીના દાગીના, રૂ.10,000 ની કિંમતનું લેપટોપ, રૂ.5,000 ની કિંમતનો ડિઝિટલ કેમેરો તથા રૂ.40,500 રોકડ મળી કુલ રૂ.1,45,500 ની તસ્કરીને અંજામ આપ્યો હોવાનો ખ્યાલ આવતાં ડો.સિન્હાના પત્ની ડિમ્પલબેને આદિપુર પોલીસ મથકમાં અજાણ્યા ચોર શખ્સ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદના આધારે PSI બી.વી.ચુડાસમાએ ભેદ શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા.