રિક્ષામાં પિયર જઈ રહેલી મહિલાના 2.31 લાખના દાગીનાની ચોરી થતાં ફરીયાદ નોંધાઈ

સાસરિયેથી પિયરમાં પોતાના બાળકો સાથે અમદાવાદ આવી રહેલી મહિલાને શટલ ઓટોરિક્ષામાં બેસાડીને ડ્રાઇવર અને સાગરીતોએ નજર ચૂકવી રૂ.2.31 લાખના દાગીનાની તસ્કરી કરી હતી. આ બાબતે મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો સામે ફરિયાદ દાખલ કરાવી છે.
કલોલ તાલુકાના વાંસજડા ગામમાં રહેતા ઈશાબેન કમલેશભાઈ દેસાઈ તેમના બે સંતાનો સાથે પિયર સૈજપુર નરોડા મધ્યે આવવા માટે કલોલ અંબિકાનગર સ્ટેન્ડથી એક ઇકો કારમાં બેઠા હતા.આ દરમિયાન ઈકોચાલકે તેમને અધવચ્ચે ઝૂંડાલ સર્કલ નજીક ‘મારે કામ છે જવું પડશે’ તેમ કહીને ઉતારી દીધા હતા અને એક રિક્ષાચાલકને બોલાવીને તેમાં બેસાડી દીધા હતા. આ ઓટોરિક્ષામાં પહેલાથી બે અજાણ્યા માણસો બેઠા હતા દરમિયાન ઈશાબેનને રિક્ષાચાલકે પણ ચાંદખેડા સર્વિસરોડ પર ઉતારી દીધા હતા અને કહ્યું હતું કે, ‘મારે આ બે પેસેન્જરોને આગળ ઉતારવાના છે એટલે તમે નીચે ઉતરી જાવ.’
રિક્ષાચાલકના ગયા પછી થેલામાં વજન ઓછું જણાતા ઈશાબેને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમના થેલામાં મુકેલા વિવિધ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.2.31 લાખના દાગીના ગુમ હતા. આ બાબતે ઈશાબેને તપાસ કરતા રિક્ષાચાલક કે તેના સાગરીતોનો કોઈ પત્તો ન લાગતા અંતે ઈશાબેને આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ દાખલ કરાવી હતી.