સોલૈયામાં ગાયોના તબેલામાં આગ લાગી જતાં 4 હજાર પૂળા બળીને ખાખ થતાં ભારે નુકસાન

copy image

માણસા પાસેના સોલૈયા ગામમમાં બપોરે ગાયોના તબેલામાં કોઈ કારણસર આગ લાગી ગઈ હતી. આજુબાજુથી દોડી આવેલા લોકોએ તબેલામાં રાખેલી 20 ગાયને બચાવી લીધી હતી અને જાણ કરવામાં આવતા આવી પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે જહેમત પછી આગને કાબુમાં લઈ લીધી હતી, ત્યાં સુધીમાં ખેડૂતના 4 હજાર જેટલા પૂળા બળીને ખાખ થઈ ગયા હતા.

સોલૈયામાં પ્રજાપતિ વાસની બાજુમાં ચૌધરી રાજુભાઈ નારાયણભાઈની ખરવાડમાં આવેલા ગાયોના તબેલામાં બપોરે આગ લાગી ગઈ હતી અને આગ થોડીવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પૂર્વે પડોશમાં રહેતા ચૌધરી નીતાબહેનને જાણ થતાં તેમણે તબેલાના મલિકને જાણકારી આપી હતી. જેથી આજુબાજુથી અને ગામમાંથી દોડી આવેલા લોકોએ પ્રથમ તબેલામાં બાંધેલી 20 જેટલી ગાયોને સલામત બહાર લાવી આગ બુજાવવાના પ્રયાસમાં લાગી ગયા હતા.

માણસાના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી તથા સરપંચ યશવંત ચૌધરીને થતાં બંને જણાએ માણસા ફાયર બ્રિગેડને જાણ કરી ફાયરની ગાડી સાથે બંને આગેવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જ્યાં ફાયર બ્રિગેડ તથા ગ્રામજનોની મદદથી આગના લીધે વધુ નુકસાન થાય તે પૂર્વે ભારે જહેમતને બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ખેડૂતના અહીં મૂકવામાં આવેલા 4 હજાર જેટલા પૂળા બળી જતાં ખેડૂતને લાખોનું નુકસાન થયું હતું.