નવસારીમાં ડમ્પરે બાઇકને અડફેટે લેતા અકસ્માત: વૃદ્ધનું મોત, એક ગંભીરરીતે ઇજાગ્રસ્ત

નવસારીના ગ્રીડ સ્વામિનારાયણ મંદિર નજીક રોડ પર જતા ડમ્પરે બાઇકને ઠોકર મારતા વૃદ્ધનું મોત નીપજયું હતું. જ્યારે બીજાને ગંભીર ઇજા પહોચી હતી. આ બનાવની પીએસઆઈ યોગેશદાન ગઢવી તપાસ કરી રહ્યા છે. નવસારીના ગણદેવી તાલુકાના ખાપરિયા ગામમાં રહેતા બીતેશ મગાભાઈ હળપતિએ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું કે તેમના પિતા મંગાભાઈ ઢેડિયાભાઈ હળપતિ (ઉ.વ. 65) તેમના મિત્ર અજય હળપતિ સાથે તેમની બાઇક (નં. GJ-21-AF-7767) લઈને ચોવીસી ગામની હદમાં અમદાવાદથી મુંબઈ જતા ને.હા.નંબર 48 ગ્રીડ ઓવરબ્રિજ સ્વામિનારાયણ મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા.
આ દરમિયાન પાછળથી ડમ્પર (નં. GJ-21-Y-0448)ના અજાણ્યા ચાલકે તેમની બાઇકને ઠોકર મારી હતી. જેને પગલે બાઈક પર સવાર મંગાભાઇ અને અજય રોડ પર પટકાઈ ગયા હતા. રોડ પર પટકાતા મંગાભાઈને ગંભીર ઇજા થતાં તેમનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે પાછળ બેસેલા અજય હળપતિને પણ ગંભીર ઇજા થઈ હતી. ડમ્પર ચાલક અકસ્માત કરી અકસ્માત સ્થળેથી નાસી ગયો હતો. આ ઘટનાની તપાસ પીએસઆઇ યોગેશદાન ગઢવી કરી રહ્યાં છે.