અંકલેશ્વરના રાજપીપલા ચોકડી નજીક ભંગારના ગોડાઉનમાં આગ લાગતાંઅફરાતફરી મચી

અંકલેશ્વર રાજપીપલા માર્ગ ઉપર આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ભભૂકતા અફરાતફરી મચી ગઇ હતી. જોકે ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓએ દોડી આવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી વિગત મુજબ અંકલેશ્વર રાજપીપલા માર્ગ ઉપર આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આજે સવારના અરસામાં કોઈ કારણસર આગ લાગતાં ભારે દોડભાગ મચી ગઇ હતી. આગ એટલી વિકરાળ હતી કે, આગના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતાં. આગના પગલે આજુબાજુમાં રહેતા રહીશોમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ સ્થાનિકો અંકલેશ્વર ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળ પર દોડી આવીને આગ ઉપર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત પછી આગ પર કાબુ મેળવ્યો હતો. આગના લીધે કોઈ જાનહાની ન થતાં સ્થાનિકોએ રાહત અનુભવી હતી. જોકે આગ ક્યા કારણોસર લાગી છે તે જાણી શકાયું ન હતું.