ભુજ તાલુકાનાં લોરિયાના ગ્રામજનોએ ચોરીનો ભેદ ના ઉકેલાતા મતદાન બહિષ્કારનો નિર્ણય કરાયો
copy image

ભુજ તાલુકાના લોરિયાના ગ્રામજનોએ વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિસ્કાર કરવામાં આવ્યો છે. જાલપા માતાજીના મંદિર અને પરમેશ્વરદાદાના મંદિરે રૂપિયા 8 લાખની ચોરીની ઘટના 9 માસ પૂર્વે બની. જેનો ભેદ હજી સુધી ન ઉકેલાતાં ગ્રામજનોએ મતદાન બહિસ્કારનો નિર્ણય લેતાં વહીવટી તંત્ર દોડતું થયું. હાલ વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે લોરિયાના 1500 મતદારો મતદાનથી દૂર રહેશે તેવો નિર્ણય સમસ્ત ગ્રામજનોએ લેતા માહોલ ગરમાઈ ગયો છે.
ગામના આગેવાન અનિલભાઈ ભાનુશાલીએ જણાવ્યું કે, ગામમાં નવ મહિના પૂર્વે જાલપા માતાજીના મંદિરે અને પરમેશ્વર દાદાના મંદિરે ચોર ત્રાટક્યા હતા. જેમાં મંદિરના આભૂષણો સહિત આસ્થાનું પ્રતિક એવા પરમેશ્વરદાદાના ઘોડા સહિત રૂપિયા 8 લાખનો મુદામાલ ચોર ચોરી ગયા હતા.
જેની માધાપર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.પરંતુ આજદિવસ સુધી પોલીસે ચોરીનો ભેદ શોધી ન કાઢતા ગ્રામજનોએ નારાજગી દર્શાવી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો છે. જેના પગલે વહીવટી તંત્ર લોરિયા મધ્યે દોડી ગયું હતું. તંત્ર દ્વારા સમજાવવા છતાં ગ્રામજનો પોતાના નિર્ણય પર અડગ રહ્યા છે.લોરિયા ગામમાં મંદિરમાં થયેલ ચોરીની ઘટના બાબતે માધાપર પોલીસ મથકના પીઆઈ એ.જી.પરમાર જણાવ્યું કે, ચોરીની ઘટના પછી તપાસ એલસીબીને સોપાઇ હતી. જેમાં પોલીસ દ્વારા રાજ્યભરમાં તમામ સ્રોતથી તપાસ કરવા છતાં આરોપીઓ પકડમાં નથી આવ્યા.