મુન્દ્રાના બારોઈમાં ધોળા દિવસે બંધ ઘરને નિશાન બનાવી તસ્કરે1.41 લાખના મુદામાલની કરી ચોરી

મુંદરા તાલુકાના બારોઈમાં બાંધણીના વેપારીના બંધ ઘરને ધોળા દિવસે ચોરે રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ્લે રૂા. 1.41 લાખના મુદામાલની તસ્કરી કરતા ચકચાર મચી ગઈ હતી. સવારથી રાત વચ્ચે ધોળા દિવસે થયેલી આ ઘરફોડ ચોરી બાબતે બારોઈના પારસનગરમાં રહેતા બાંધણીના વેપારી હારુન રશીદ યુનુસ ખત્રીએ મુંદરા પોલીસ મથકમાં દાખલ કરાવેલ ફરિયાદ અનુસાર સવારે તેઓ પોતાના પરિવાર સાથે લગ્ન પ્રસંગે માંડવી ગયા અને રાત્રે નવ વાગ્યા દરમિયાન પાછા ઘરે આવતા સામાન વેર વિખેર પડયો હતો. અજાણ્યા ચોર શખ્સો બંધ મકાનની ગેલેરીની બારીની લોખંડની ગ્રીલ કોઈ સાધન વડે તોડી બારીથી ઘરમાં ઘૂસી બેડરૂમમાં લોખંડના કબાટમાંથી રોકડા રૂા. 8000 તેમજ સોનાનો સિક્કો કિ. રૂા. 30,000, સોનાનું પેન્ડલ કિ. રૂા. 30,000, બે સોનાની બુટી કિં. રૂા. 37000, નાની-મોટી પાંચ સોનાની વીંટી કિ. રૂા. 21,000, ચાંદીના સાંકળા જોડી નંગ-2, કિ. રૂા. 15,000 એમ કુલ્લે રૂા. 1,41,000ની તસ્કરી કરી ગયા હતા.