બીલીમોરા-ગણદેવી માર્ગ પર મોપેડ અને બાઇક વચ્ચે અકસ્માત: બાઇક ચાલકનું મોત

બીલીમોરા શાંતિનગર ટાઉનશીપમાં રહેતા નટવરભાઈ રામભાઈ પટેલ (ઉ.વ. 65) ઉકાઈ બુધવારે અમાસ હોવાથી તેઓ વલોટી શનિદેવ મંદિરે દર્શન કરવા માટે તેમની બાઇક (નં. જીજે-07-બીજે-9066) પર તેમની પત્ની સવિતાબેન સાથે બપોરે 2.30 વાગ્યાના સમયગાળામાં નીકળ્યા હતા. તેઓ બીલીમોરા-ગણદેવી માર્ગ પર આવેલ દત્ત પેટ્રોલ પંપ સામેથી પસાર થતા હતા તે દરમિયાન તેમની સામેની તરફથી પૂરપાટે આવી રહેલી મેસ્ટ્રો મોપેડ પર સવાર યુવતીએ તેમની બાઇકને ઠોકર મારી હતી.
આ ઘટનાથી નટવરભાઈ અને સવિતાબેન રોડ પર પડી ગયા હતા. નટવરભાઇને માથાના ભાગમાં ગંભીર ઇજા થતાં તરત બીલીમોરા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલના તબીબે તેમને મૃત ઘોષિત કર્યા હતા. મૃતકના પત્ની સવિતાબેને આ અંગેની જાણ તેમના પુત્રને કરતા તેમના પરિવારજનો તથા સોસાયટીના લોકો હોસ્પિટલમાં પહોંચ્યા હતા. નટવરભાઈ પત્ની સવિતાબેનને પણ હાથના ભાગમાં ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ તેમના પુત્રએ બીલીમોરા પોલીસમાં કરતા બીલીમોરા પીઆઇ ટી.એ.ગઢવી વધુ તપાસ ચલાવી રહ્યાં છે.