મિરઝાપરની ગટરમાં સફાઇ માટે ભુજના સફાઈ કામદારોને બોલાવી, ગટરમાં ઉતારનારા 2 શખ્સ સામે ફરિયાદ નોંધાતા અટકાયત કરાઇ

મીરઝાપર ગામમાં ગટર સફાઈ માટે ચેમ્બરમાં ઉતરેલા બે સફાઈ કામદારોના ગુંગળાઈ જવાના લીધે મોત નિપજતા ભારે ચકચાર મચી હતી. બનાવ સંદર્ભે પોલીસે એડી દાખલ કર્યા પછી તપાસના આધારે બે ઇસમોની સંડોવણી જણાતા તેઓ સામે ગુનો નોંધ્યો છે.
મીરઝાપર બસ સ્ટેશનની સામેના ભાગમાં ગટર લાઈનની સફાઈ કરવા માટે ગયા હતા અને ન તે દરમિયાન ગટર લાઈન માંથી નીકળેલા ગેસના લીધે ગૂંગળામણ થતા બંને જણા બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક સારવાર અર્થે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પરંતુ સારવાર કારગત સાબિત થાય તે પહેલા જ બંને જણના મોત નીપજ્યા હતા.આથી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ભેગા થઈ જતા જ્યાં સુધી કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો ત્યારે ડીડીઓ તેમજ શહેર મામલતદાર સહિતના અધિકારીઓએ હોસ્પિટલમાં પહોંચી પરિવારને સાંત્વના પાઠવી કાર્યવાહીની ખાતરી આપી હતી. જે પછી બીજા દિવસે પરિવારે મૃતદેહ સ્વીકારી અંતિમ વિધિ કરી હતી.
ફરિયાદીએ એ-ડિવિઝન પોલીસમાં જણાવ્યું કે,મિરજાપર ગ્રામ પંચાયતમાં કામ કરતા જુસબ અબ્દુલ્લા કુંભાર નામના વ્યક્તિએ ભાઈ ભરતને ફોન કરી ગટર સફાઈ માટે કહ્યું હતું. મિરજાપરમાં આવળ કૃપા પ્રોવિઝન સ્ટોર ચલાવતા કરસનભાઈ હરીભાઈ ગઢવીએ પણ ભરતને ફોન કર્યો હતો. આ બંને વ્યક્તિએ ભરત અને રવિને ગટર સફાઈ માટે બોલાવી ચેમ્બરમાં સફાઈ માટે અંદર ઉતાર્યા હતા અને સાફ કરતા સમયે ઝેરી ગેસ નીકળતા બંને જણના મોત થયા હતા. આરોપી કરસન અને જુસબની ગંભીર બેદરકારીના કારણે થયું હોવાનું ફલિત થતાં પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક ફરિયાદ દાખલ કરી તેમાં દર્શાવેલા બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી અને કોર્ટમાં રજૂ કરાતા જજના આદેશથી બંનેને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ ભુજની પાલારા જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે અને આગળની તપાસ ચાલુમાં છે.