અંજારમાં રૂ. 50 ઉછીના આપવાની ના પાડતા વૃદ્ધ પૂજારી પર છરીથી હુમલો કરાતા ફરિયાદ નોંધાઈ

અંજારના ગંગાનાકે આવેલા સિધ્ધેશ્વર મહાદેવ અને ભીમનાથ મહાદેવ મંદિરના પુજારીએ રૂ.50 માગવા આવનાર ઓળખીતાને ના પાડતાં પૈસા માગનાર ઇસમે તેમના ગળામાં પહેરેલી સોનાની રૂદ્રાક્ષની માળા ખેંચવાનો પ્રયત્ન કરી છરી વડે હુમલો કરતા ફરિયાદ નોંધાઈ.
અંજારના ગંગાનાકામાં તળાવની પાળ નજીક આવેલા સિધ્ધેશ્વર મહાદેવ મંદિરમાં રહેતા અને સિધેશ્વર તેમજ ભીમનાથ મહાદેવ મંદિરના 67 વર્ષીય પુજારી કરશનપુરી દેવપુરી ગુંસાઇએ દાખલ કરેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સાંજે આઠેક વાગ્યે તેઓ ભીમનાથ મંદિરના પૂજા પાઠ કરી બેઠા હતા ત્યારે તેમની પાસે અવાર નવાર આવતો ઇબ્રાહિમ હુસેન કકલ બાઇક પર આવ્યો હતો અને રૂ.50 ની માગણી કરી તેને પૈસા આપવાની ના પાડી તો તેણે તેમના ગળામાં પહેરેલી સોનાની રૂદ્રાક્ષની માળા ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો
જે ખેંચવા ન દેતાં ઉશ્કેરાઈ જઈ ઇબ્રાહિમે ભેઠમાંથી છરી કાઢી પેટમાં ઝીંકવા ઘા માર્યો પણ છરી તેમણે પકડી લેતાં ડાબા હાથમાં વાગી તો કપાળમાં પણ છરીથી ઇજા કર્યા પછી લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. રાડારાડ કરતાં તેમની સાથે કામ કરતો નયન ઠક્કર આવી જતાં ઇબ્રાહિમ છરી અને પાઇપ લઇ બાઇક મુકી નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત પૂજારીને અંજાર સરકારી હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.