મોરબી જકાતનાકા નજીક બે બાઈક ટક્કરાતા અકસ્માત સર્જાયો: એકનું મોત

મોરબી જકાતનાકા નજીક અકસ્માતની ઘટના બની હતી. જેમાં પૂરપાટે ધસી આવેલા બાઇકે મોપેડને અડફેટે લેતા સત્યમપાર્ક-2માં રહેતા પ્રદીપભાઇ મગનભાઇ દેથરિયા નામના પ્રૌઢનું મૃત્યુ નીપજયું છે. ગાંધી સ્મૃતિ સોસાયટી-3માં રહેતા મૃતકના ભાઇ બકુલભાઇએ દાખલ કરાવેલ ફરિયાદ અનુસાર, પોતે સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી પર હતો ત્યારે સાંજે પ્રદીપભાઇના પુત્ર અંકિતનો ફોન આવ્યો કે પપ્પાને મોરબી જકાતનાકા નજીક અકસ્માત થયો અને તેમને માથામાં ગંભીર ઇજા પહોચી છે. જેથી તેને 108 વડે સિવિલ હોસ્પિટલ લઇ આવવા કહ્યું હતું. થોડી વાર પછી ભત્રીજો પ્રદીપભાઇને લઇ હોસ્પિટલ પહોંચ્યો પરંતુ પ્રદીપભાઇને સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યુ હોવાનું ફરજ પરના તબીબે ઘોષિત કર્યું હતું. તપાસ કરતા ભાઇ તેના મોપેડ પર જતો તે દરમિયાન  એક બાઇક પૂરપાટે ધસી આવી અકસ્માત સર્જીને ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. બી ડિવિઝન પોલીસ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.