આદિપુરમાં ત્રણ જણનો બસચાલક ઉપર હુમલો
આદિપુરમાં ત્રણ જણે’ પ્રાણધાતક હથિયારો વડે બસચાલક પર હુમલો કર્યો હોવાનો મામલો પોલીસ દફતરે નોંધાયો હતો. સોનલમા મંદિર માર્ગ રોડ’ પર ગત રાત્રિના 23.45 વાગ્યાના અરસામાં મારામારીનો આ બનાવ બન્યો હતો. શ્રુતિ ટ્રાવેલ્સમાં બસચાલક તરીકે ફરજ બજાવતા ગોપાલ મેઘજીભાઈ ગઢવીએ’ આદિપુરના પ્રતાપ ઉર્ફે પપ્પન વાલજી ગઢવી, રાજન કાનજી ગઢવી, સુનીલ કાનજી ગઢવી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદીને ટાંકીને જણાવ્યું હતું કે, આજથી 6થી 7 માસ અગાઉ ફરિયાદીને જે બસ ચલાવવા માટે મળવાની હતી તે બસ આરોપી પ્રતાપે લઈ લીધી હતી, જે બાબતે ફરિયાદીએ ઠપકો આપ્યો હતો, જેનું મનદુ:ખ રાખીને તહોમતદારોએ ધારિયા અને ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં ફરિયાદીને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડાઈ હતી. આ મામલે પોલીસે વધુ તપાસ આરંભી છે.